Updated: Mar 15th, 2023
પાલનપુર, 15 માર્ચ 2023 બુધવાર
બનાસકાંઠાના શિહોરીની ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. આ હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં હોસ્પિટલના ICUમાં સારવાર લઈ રહેલાં ત્રણ બાળકો પૈકી એક બાળકનું મોત થયું હોવાની વિગતો સામે આવી છે. બચી ગયેલા બે બાળકોને રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ભેગા થયાં હતાં. ICUમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
હોસ્પિટલના ICU વોર્ડમાં આગની ઘટના બની
પ્રાપ્ત વિગતો પ્રમાણે કાંકરેજના શિહોરીમાં સ્થિત બાળકોની હની હોસ્પિટલના ICU વોર્ડમાં આગની ઘટના બની હતી. આ હોસ્પિટલમાં ત્રણ બાળકો ICUમાં સારવાર લઈ રહ્યાં હતાં. જેમાંથી એકનું મોત નિપજ્યું હતું અને બે બાળકોને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ સરકારી હોસ્પિટલના ડોક્ટરની મનમાનીને કારણે લોકોમાં રોષ ફેલાયો હતો.
હોસ્પિટલના ICU વોર્ડમાં આગની ઘટના બની
સરકારી રેફરલ હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ હોસ્પિટલમાં બાળકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા ત્યારે પહેલા તો ડૉક્ટરે સારવાર કરવાની ના પાડી દીધી હતી અને મનમાની કરી હોવાના આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો હતો. ગંભીર હાલતમાં બાળકોને સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ નહીં કરતાં અને ડોક્ટર દ્વારા મનમાની કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શિહોરીની રેફરલ હોસ્પિટલના ડોક્ટરને બદલવાની માંગ સાથે શિહોરીના સ્થાનિક લોકો એકઠા થયા હતા. શિહોરી શહેરની તમામ દુકાનો બંધ કરીને લોકોએ ડોક્ટરની બદલી કરવાની માંગ કરી હતી.