Jamnagar Crime : જામનગર નજીક નાઘેડી ગામમાં વહેલી સવારે માલધારીના બે પરિવારો વચ્ચે ભેંસને દોહવા બાબતે તકરાર થઈ હતી. જેમાં એક પરિવાર પર આઠ જેટલા પાડોશીઓ તીક્ષણ હથિયારો વડે તૂટી પડ્યા હતા, જેમાં ત્રણ ભાઈઓ સહિત ચાર વ્યક્તિ ઘાયલ થઈ હોવાથી તમામને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા છે. આ બનાવ બાદ પોલીસ તંત્ર દોડતું થયું છે.
જામનગરના નાઘેડી ગામે ભેંસ દોહવા બાબતે બે પાડોશી માલધારી પરિવારો વચ્ચે તકરાર થયા બાદ એક પરિવારના ઘરે પાડોશમાં સાતથી આઠ શખ્સો તિક્ષણ હથીયારો સાથે ઘસી ગયા હતા, અને ત્રણ ભાઈઓ સહિત ચાર વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો.
જેમાં ઇજાગ્રસ્ત બનેલા માલધારી પરિવારના પુના ખેતાભાઈ બાંભવા, ડાયાભાઈ ખેતાભાઈ બાંભવા, કારાભાઈ ખેતાભાઈ બાંભવા અને કમલેશ જગાભાઈ જુંજાને માથા તેમજ વાસાના ભાગે ગંભીર ઇજા થઇ હોવાથી ચારેયને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા, અને તમામની સધન સારવાર ચાલી રહી છે.
આ ઘટનાની જાણ થતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનની ટુકડી તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને હોસ્પિટલે પણ પહોંચી હતી, અને ઇજાગ્રસ્ત પરિવારના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરીને પોલીસ ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરાઈ છે.


