અન્નક્ષેત્રોમાં સામગ્રી મોકલવાનું, દુર્ઘટના થાય તો રેસ્ક્યુ દુષ્કર : સાધુ-સંતો, અધિકારીઓ, લોકપ્રતિનિધિઓ દ્વારા રૂટનું નિરીક્ષણ: જંગલના માર્ગોની સ્થિતિ યાત્રિકો માટે અસલામત જણાતાં નિર્ણય
જૂનાગઢ, : ગરવા ગિરનારની ગોદમાં પરંપરાગત યોજાતી લીલી પરિક્રમાને કમોસમી વરસાદનું ગ્રહણ લાગ્યું છે. કોરોના બાદ આ વખતે બીજી વાર લીલી પરિક્રમા રદ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. હવે માત્ર પરંપરા જાળવવા માટે સાધુ સંતો સહિતનાઓ દ્વારા પ્રતિકાત્મક પરિક્રમા કરી મુહૂર્ત સાચવી લેવામાં આવશે. આજે સવારે જૂનાગઢ જિલ્લાના સંબંધિત અધિકારીઓ, ગિરનારના અગ્રગણ્ય સાધુ-સંતો, સાંસદ, ધારાસભ્ય, ઉતારા મંડળ સંચાલકો દ્વારા પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યા બાદ તંત્રએ કાદવ કીચડના કારણે પરિક્રમામાં ભાવિકો માટે જોખમ ઊભું થઈ જાય તેવી સ્થિતિ હોવાને લીધે પરિક્રમા રદ કરવાનો નિર્ણય લીધો છે.
લાખો લોકોની આસ્થા આસ્થા સમાન ગિરનારની લીલી પરિક્રમા આ વખતે રદ કરવાનો નિર્ણય લેવાની ફરજ પડી છે. પરિક્રમા યોજાશે કે કેમ તે અંગે છેલ્લા ચાર પાંચ દિવસથી અનેક અવઢવ પ્રવર્તતી હતી કેમ કે, વરસાદના કારણે પરિક્રમાના ૩૬ કિલોમીટરના રૂટનું ધોવાણ થઈ ગયું હતું. આ ઉપરાંત ગત રાત્રિના તથા વહેલી સવારે ગિરનાર પર કમોસમી વરસાદ વરસતા જંગલના રસ્તાઓની સ્થિતિ બદતર થઈ ગઈ હતી. સરકારી તંત્ર દ્વારા ત્રણ દિવસ પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે પરિક્રમા કરવી કે કેમ તે અંગેનો નિર્ણય તા. 31મીએ જાહેર કરવામાં આવશે. ત્યાં સુધી કોઈ યાત્રિકોને ન આવવા માટેની અપીલ પણ કરવામાં આવી હતી. આજે સવારે ગિરનારની સીડી નજીક આવેલા બોરદેવી ચેકિંગ નાકાથી સાધુ-સંતો, કલેક્ટર, એસપી, ડીસીએફ, જૂનાગઢના સાંસદ, ધારાસભ્ય અને અન્નક્ષેત્ર ઉતારા મંડળના અગ્રણી સહિતનાઓએ રૂટ પર જઈ હાલની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
નિરીક્ષણ દરમિયાન સ્પષ્ટ જણાયું હતું કે જંગલના તમામ રસ્તાઓનું ધોવાણ થઈ ગયું હોવાથી વાહનો ચાલવા પણ મુશ્કેલ બની ગયા છે. જો પરિક્રમાનું આયોજન થાય તો વાહનો મારફત કાચું સીધું પરિક્રમાના રૂટ પર શરૂ કરવામાં આવતા અલગ અલગ અન્નક્ષેત્ર ખાતે પહોંચાડવું પડે તેમ છે પરંતુ તે માટે વાહનો જંગલમાં જઈ શકે તેવી સ્થિતિ નથી. જો અન્નક્ષેત્ર ન હોય તો ભાવિકોને મોટી મુશ્કેલી થાય તેમ છે. આ ઉપરાંત કાદવ કિચડના કારણે ઠેકઠેકાણે દુર્ઘટના થવાની પણ શક્યતાઓ હોવાથી પરિક્રમા કરવી એ જોખમી બની જાય તેમ છે. આવી સ્થિતિને ધ્યાને રાખી સાધુ સંતો, વહીવટી તંત્ર અને પદાધિકારીઓએ મળી એક મતે નિર્ણય લીધો છે કે યાત્રિકોની સલામતીને ધ્યાને રાખી પરિક્રમા બંધ રાખવી. જંગલના રસ્તા પર કોઈ પણ અકસ્માત કે દુર્ઘટના બને તો રેસ્ક્યુ સહિતની કામગીરી પણ તંત્ર દ્વારા થઈ શકે તેમ નથી. આવા તમામ પાસાઓને ધ્યાને લઈ અંતે પરિક્રમા રદ કરવાનો નિર્ણય કલેકટર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.


