જન્મથી આંતરડાની બીમારી ધરાવતી બાળકીની ૨૪ દિવસ સારવાર ચાલી

વડોદરા,મધ્યપ્રદેશની અધૂરા માસે, ઓછા વજનવાળી બાળકીને જન્મથી જ આંતરડાની ગંભીર બીમારી હતી. સયાજી હોસ્પટલમાં પિડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના ડોક્ટરોની ટીમની ૨૪ દિવસની સારવાર પછી બાળકી સ્વસ્થ થઇ હતી.
મધ્યપ્રદેશના અલીરાજપુરના અંતરિયાળ ગામે રહેતા પરિવારની મહિલાએ અધૂરા સામે ૧.૬૮૦ કિલો વજન ધરાવતી બાળકીને જન્મ આપ્યો હતો. જન્મથી જ બાળકીને આંતરડાની ગંભીર બીમારી હોઇ સારવાર માટે ે સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં લાવવામાં આવી હતી. જ્યાં બાળકીને મીડગટ વોલ્યુલસ ( આંતરડા ગૂંચવાઇ જવા) હોવાનું નિદાન થયું હતું. ડોક્ટરની ટીમે બે સર્જરી કરી બાળકીનો આંતરડાનો નાનો ભાગ કાઢીને તેમા બાકીનો ભાગ જોડવામાં આવ્યો હતો.ઓપરેશનના ૧૦ દિવસ પછી બાળકીને ખોરાક એટલે કે માતાનું ધાવણ આપવાનું શરૃ કર્યુ હતું, જેને બાળકીએ સારી રીતે પચાવ્યું હતું. ૨૪ દિવસની સઘન સારવાર બાદ માતા-પિતાને યોગ્ય સલાહ આપીને બાળકીને ડિસ્ચાર્જ કરવામાં આવી હતી.









