કારની ટક્કરથી એક્ટિવા પર સવાર 27 વર્ષીય યુવકનું મોત
- એસજી હાઈવે પર નવા સોલા બ્રિજ પરની ધટના
અમદાવાદ,તા.31 માર્ચ 2023,શુક્રવાર
એસ.જી.હાઈવે પર કારગીલ પેટ્રોલપંપ નજીક આવેલા નવા સોલા બ્રિજ પર ગુરૂવારે પરોઢે 2 વાગ્યે એક્ટિવાને કારે ટક્કર મારતા 27 વર્ષીય યુવકનું સ્થળ પર મોત નિપજ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે, એક્ટિવા વચ્ચેથી વળી ગઈ હતી.એસજી હાઈવે ટ્રાફિક પોલીસે ગુરૂવારે પરોઢે કાર ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
અકસ્માત એટલે ગંભીર કે એક્ટિવા વચ્ચેથી વળી ગઈઃ યુવકનું સ્થળ પર મોત
ગોતા વંદેમાતરમ હિલ્સ ખાતે રહેતો જયન વિજયભાઈ ઠાકર (ઉં,27)નાઓ ગુરૂવારે પરોઢે બે વાગ્યે એસજી હાઈવે પર પોતાનું એક્ટિવા લઈને સોલા નવા બ્રિજ પરથી પસાર થતો હતો. તે સમયે પુરઝડપે અને બેફામ રીતે આવતા હુન્ડાઈ વર્ના કારચાલકે જયનના એક્ટિવાને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતને પગલે જયન રોડ પર પટકાયો અને સ્થળ પર તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે, એક્ટિવા પણ વચ્ચેથી વળી ગયું હતું. બનાવને પગલે એસજી હાઈવે ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતક જયન ઠાકરના મામાના પુત્ર ઉગમ પ્રદ્યુમનભાઈ ઉપાધ્યાય (ઉં,27)ની ફરિયાદ આધારે ચાંદલોડીયા ખાતે અનમોલ રેસીડન્સીમાં રહેતાં કાર ચાલક પાર્થ પ્રવિણભાઈ કાંઝીયા (ઉં,27) વિરૂધ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી.