અમદાવાદ શહેરમાં અક્સ્માતની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, 68 ટકા અકસ્માત માત્ર ઓવરસ્પિડને કારણે જ થાય છે તેમાં રાહદારીઓ-ટુ વ્હિલર ચાલકોના સૌથી વધુ મોત નિપજે છે. અમદાવાદ શહેરમાં દર મહિને સરેરાશ 100થી વધુ અકસ્માત થાય છે અને 30થી વધુ લોકો જાન ગુમાવે છે. શહેર ટ્રાફિક પોલીસે કરાવેલાં એક સર્વે અનુસાર, અમદાવાદમાં કુલ મળીને 97 એક્સિડેન્ટ ઝોનમાં છે જેમાં માત્ર એસ.જી હાઇવે પર નવ સ્પોટ આવેલાં છે.
2022માં જ YMCA કલબથી છારોડી પાટિયા સુધી 81અકસ્માત, ગુજરાત અકસ્માતમાં દેશમાં 10મા ક્રમે
અમદાવાદમાં વર્ષ 2020માં 1185 અને વર્ષ 2021માં 1433 એમ બે વર્ષમાં કુલ મળીને અકસ્માતની 2623 ઘટનાઓ બનવા પામી હતી. આ અકસ્માતમાં કુલ 744 લોકોએ જીવ ગુમાવ્યા હતાં. માતેલા સાંઢની જેમ આડેધડ રીતે વાહન હંકારતા અક્સ્માતની ઘટનાઓ બની રહી છે. 68 ટકા અકસ્માત તો ઓવરસ્પિડને કારણે થાય છે. રિપોર્ટમાં એવા તારણો બહાર આવ્યા છેકે, 66 ટકા અકસ્માત વણાંક નહી બલ્કે સીધા માર્ગ પર થાય છે. 17 ટકા અકસ્માત વણાંકવાળા રસ્તા પર થઇ રહ્યા છે. અકસ્માતમાં 25 ટકા રાહદારી અને 43 ટકા ટુ વ્હિલરચાલકો મોતને ભેટે છે. આજે ગુજરાત અકસ્માતમાં દેશના દસમા ક્રમે છે. વર્ષ 2022માં શહેર ટ્રાફિક પોલીસે કરાવેલા સર્વેક્ષણ અનુસાર, અમદાવાદ શહેરમાં કુલ 97 એક્સિડન્ટ ઝોન છે તેમાંથી નવ એસ.જી. હાઈવે ઉપર છે.
અમદાવાદમાં ગત વર્ષ કરતાં આ વર્ષે અકસ્માતનું પ્રમાણ વધ્યુ
એસ.જી હાઈવે ઉપર મહત્તમ અકસ્માત થાય છે તેમાં અંદાજ પાર્ટી પ્લોટ પાસે 15, ઈસ્કોન ફ્લાયઓવર ઉપર 13, ઈસ્કોન ચાર રસ્તા ઉપર 10, પકવાન જંકશનથી થલતેજ અન્ડરપાસ રોડ ઉપર 9, વાય.એમ.સી.એ. કલબ પાસે 9, છારોડી પાટિયા અને ગુરૂદ્વારાથી ગ્રાન્ડ ભગવતી વચ્ચે 7, કર્ણાવતી ક્લબ જંકશન પાસે 6 અને ગોતા ચાર રસ્તા ઉપર પાંચ માર્ગ અકસ્માત નોંધાયાં હતાં. આમ, વર્ષ 2022માં જ એસ.જી. હાઈવે ઉપર વાય.એમ. સી. ક્લબથી છારોડી પાટિયા વચ્ચે કુલ 81 અકસ્માત નોંધાયાં હતાં. આમ, અમદાવાદમાં ગત વર્ષ કરતાં આ વર્ષે અકસ્માતનું પ્રમાણ વધ્યુ છે.


