Gujarat

કોરોના ઇફેક્ટ: વડોદરામાં ભીડભાડવાળા સ્થળોએ બે દિવસમાં એન્ટીજન અને આરટીપીસીઆરના 8881 ટેસ્ટિંગ

By GS Team
15 Nov 20212 mins read
This article was originally published on 15 Nov 2021
કોરોના ઇફેક્ટ: વડોદરામાં ભીડભાડવાળા સ્થળોએ બે દિવસમાં એન્ટીજન અને આરટીપીસીઆરના 8881 ટેસ્ટિંગ

વડોદરા, તા. 15 નવેમ્બર 2021 સોમવાર

દિવાળીના તહેવારોમાં બજારોમાં મોટા પાયે બજારોમાં ભીડ જોવા મળી હતી. લોકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અવર- જવર કરતા હતા. બીજી તરફ દિવાળી વેકેશનમાં ફરવાના ક્રેઝને લઈને પણ વડોદરામાં ફરીવાર કોરોનાની રી- એન્ટ્રી થઈ છે. દિવાળી બાદ કોરોના કેસમાં ધીમે પગલે વધારો જોવા મળી રહ્યો છે. જેથી રેલવે સ્ટશન અને એસટી સ્ટેશન  સહિતના સ્થળોએ કોરોના ટેસ્ટીંગ ની કામગીરી વધારી દેવામાં આવી છે.

શિયાળાના આરંભે, દિવાળીના તહેવારો બાદ ડેન્ગ્યુ, ચિકુનગુનિયા જેવા મચ્છર અને વાઈરલજન્ય રોગચાળો વકર્યો છે. આ સ્થિતિમાં અન્ય બીમારીગ્રસ્ત હાઈ રિસ્ક અને ઉંમર લાયકનાગરીકોના સર્વે કરી કોરોનાની ચકાસણી માટે ટેસ્ટિંગ કરવા સરકારે કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોને આદેશો કર્યા છે. 

જિલ્લા અને શહેરોના આરોગ્ય તંત્રને ઈન્ફલ્યુએન્ઝા લાઈક ઈલનેસ અને સિનિયર એક્યુટ રેસ્પિરેટોરી ના શંકાસ્પદ દર્દીઓનો સર્વે કરીને તેમનું દૈનિક ટેસ્ટિંગ કરવા આદેશ કર્યો છે. તદુઉપરાંત પ્રવાસન સ્થળો, બજારોમાં પણ પહેલાની જેમ ડોમ, મંડપ ઉભા કરીને ટેસ્ટિંગ વ્યવસ્થા સઘન કરવા કહેવાયુ છે. ત્યારે હવે વડોદરાનું મનપા તંત્ર પણ એક્શનમાં આવ્યું છે અને રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, શાકમાર્કેટ, ધાર્મિક સ્થાનો, મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય તેવા સ્થળો, બાગ બગીચા, હોસ્પિટલ સહિતના સ્થળોએ છેલ્લા બે દિવસ દરમિયાન એન્ટીજન અને આરટીપીસીઆર ટેસ્ટિંગ પાલિકાએ હાથ ધર્યું છે. છેલ્લા બે દિવસ દરમિયાન કોર્પોરેશન દ્વારા ઉપરોક્ત સ્થળોએ એન્ટીજન અને આરટીપીસીઆર મળી કુલ 8881 જેટલા ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. 

અત્રે નોંધનીય છે કે રવિવારે પાલિકા દ્વારા સત્તાવાર જાહેર કરવામાં આવેલા કોરોના બુલેટિનમાં વધુ 06 દર્દી કોરોના પોઝિટિવ સામે આવતાં હાલ 33 દર્દી કોરોના પોઝિટિવ સારવાર હેઠળ છે. આમ કુલ આંક 72, 217 પર પહોંચ્યો છે.