જામનગર જિલ્લાની 266 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 87 ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર થઈ
Jamnagar Gram Panchayat Election : જામનગર જિલ્લામાં આગામી 22 મી તારીખે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન થનાર છે, ગઈકાલે 11 મી જૂને ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. ફોર્મ પરત ખેંચાયા બાદ ક્યા તાલુકામાં સરપંચપદ માટેના અને સભ્યપદ માટેના કેટલા ઉમેદવારો હવે મેદાનમાં રહ્યા છે. તેનું આખરી ચિત્ર સ્પષ્ટ થયું છે.
જામનગર જિલ્લાની કુલ 266 ગ્રામ પંચાયતોમાં આગામી 22 જૂને સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણીઓ માટે મતદાન થશે. આ 266 પૈકી 87 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યોની બિનહરીફ વરણી થઈ શકી છે, બાકીની પંચાયતોમાં ચૂંટણીઓ યોજાશે.
જામનગર તાલુકામાં કુલ 65 પંચાયતોની ચૂંટણીઓ જાહેર થઈ છે, જે પૈકી 20 સરપંચ બિનહરીફ જાહેર થયા છે. કાલાવડ તાલુકાની 72 પંચાયત પૈકી 25 પંચાયતમાં સરપંચ બિનહરીફ અને સાથે સભ્ય પણ બિનહરીફ જાહેર થયા.
લાલપુર તાલુકાની 47 પંચાયત પૈકી 11 પંચાયતોમાં સરપંચ સભ્ય બિનહરીફ થયા છે. જામજોધપુર તાલુકાની 34 પંચાયતો પૈકી 10 ગ્રામ પંચાયત સમરસ બની છે. ધ્રોલની 24 માંથી 12 અને જોડિયાની 24 માંથી 9 પંચાયતો બિનહરીફ જાહેર થઇ છે.
જિલ્લાની સ્થિતિ જોઈએ તો કુલ પંચાયત 266 માંથી સરપંચ બિનહરીફ જાહેર થયા હોય એવી પંચાયત 86, કુલ 1188 સભ્ય બિનહરીફ થયા છે. જયારે સરપંચપદ માટે ચૂંટણીઓ લડી રહેલા ઉમેદવાર 407 અને સભ્યપદ માટે હજુ 1893 ઉમેદવાર મેદાનમાં છે.