નડિયાદ મહાનગરપાલિકાનો 85 ટકા વહીવટ હવે મોર્ડન એજન્સીના હવાલે
- સવારે ડે. કમિશ્નરનો વિરોધ સાંજ પડતા સુખદ સમાધાનમાં ફેરવાઈ ગયો
- તમામ કરારી કર્મચારીઓને આઉટ સોસગ એજન્સી થકી ફરજ પર રખાશે
નડિયાદમાં કચેરીના અને સફાઈ કર્મચારીઓ જે કરાર આધારિત હતા, તેમને એજન્સીમાં લેવાનો વિરોધ ચાલી રહ્યો હતો. આ વચ્ચે બુધવારે વહેલી સવારે પારસ સર્કલ પાસેના ડમ્પિંગ પોઈન્ટ પર ડે.કમિશ્નર રૂદ્રેશ હુદળ પહોંચ્યા હતા. જેઓ સ્થળ પર પહોંચી સફાઈના કોન્ટ્રાક્ટર થકી કચરો ઉપાડવવા પ્રયત્નશીલ બન્યા હતા. જો કે, અત્રે સફાઈ કર્મચારીઓ અને તેમના યુનિયન પ્રમુખ આવી પહોંચ્યા હતા અને ભારોભાર વિરોધ દર્શાવ્યો હતો. વહેલી સવારે જ સ્થળ પર ટાઉન પોલીસે પણ પહોંચવુ પડયુ હતુ અને ખાસ્સી માથાકૂટ થયા બાદ ૧૧.૩૦ કલાકે બેઠકની બાહેંધરી મળતા કર્મચારીઓએ કચરો ઉપાડવા દીધો હતો. તે પછી મનપા અને સફાઈ કર્મચારીઓ વચ્ચે બેઠક થઈ હતી. જેમાં સુખદ સમાધન થયુ હતુ. ખાસ કરીને સફાઈ કર્મચારીઓની મહેકમ મુજબ ભરતી સમયે સિનિયોરીટી ધ્યાને લેવા માટે સહમતી સધાઈ હતી.
તેમજ એજન્સીમાં કર્મચારીઓ જાય, તે બાદ પગારથી માંડી અન્ય તમામ બાબતો માટે મનપા જ જવાબદાર રહેશે, તેવુ વચન લેવામાં આવ્યુ છે. ઉપરાંત ભવિષ્યમાં એજન્સી નીકળી જાય, તેવા સમયે તમામ કર્મચારીઓને મનપાએ રાખવા જ પડશે, તેમ નક્કી કરાયુ હતુ. તે બાદ કર્મચારીઓ પોતાનું આંદોલન પરત ખેંચ્યુ હતુ.જો કે, આ વચ્ચે સૌથી મહત્વની બાબત એ છે કે, મનપામાં હવે કુલ કર્મચારીઓના ૧૫ ટકા જેટલા જ કર્મચારીઓ સીધા મનપાના અને રાજ્ય સરકારના કાયમી કર્મચારીઓ રહ્યા છે. બાકી ૮૫ ટકા કર્મચારીઓ હવે મોર્ડન એજન્સી દ્વારા સપ્લાય કરાશે. જેથી હવે મનપાનો આખો વહીવટ મોર્ડન એજન્સી દ્વારા રાખવામાં આવેલા કર્મચારીઓ થકી કરાશે.