Get The App

નવા વાઘણીયા અને માલીડાનાં બૂથ પર 81.11 % ફેર મતદાન

Updated: Jun 21st, 2025

GS TEAM

Google News
Google News
નવા વાઘણીયા અને માલીડાનાં બૂથ પર 81.11 % ફેર મતદાન 1 - image


પોલીસ, તંત્રનો સ્ટાફ દિવસભર ખોડાયેલો રહ્યો 2 દિવસ પહેલાં બંને ગામમાં કુલ 624 મત પડયા હતા, ફેર મતદાનમાં 123 મત વધ્યા

જૂનાગઢ, : વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભેસાણ તાલુકાના નવા વાઘણીયા અને માલીડાના બુથ પર આજે ફેરમતદાન થયું હતું. સવારથી સાંજ સુધી પોલીસ અધિકારીઓ અને સ્ટાફ દિવસભર ખોડાયેલો રહ્યો હતો. સાંજ સુધીમાં 81.11 ટકા ફેરમતદાન થયું હતું. બે દિવસ પહેલા બંને ગામમાં કુલ 624 મત પડયા હતા જ્યારે આજે 747 મત પડયા હતા. આમ, તા. 19 કરતા આજે 123 મત વધુ પડયા હતા. બંને બુથ પર સરેરાશ 15.19 ટકા વધુ મતદાન નોંધાયું હતું.

તા. 19ના વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી દરમ્યાન ભેસાણ તાલુકાના માલીડામાં અજાણ્યા શખ્સોએ મતદાન મથકમાં ઘુસી બોગસ મત નાખી દીધા હતા તેમજ પ્રિસાઈડીંગની ફરજમાં રૂકાવટ કરી હતી. જ્યારે નવા વાઘણીયાના બુથ પર પ્રિસાઈડીંગની ફરજમાં રૂકાવટ કરી બળજબરીથી મત કુટીરમાં જઈ બોગસ મત નાખવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગેની વિગતો સામે આવ્યા બાદ ચૂંટણી પંચ દ્વારા બંને બુથ પર આજે ફેરમતદાન યોજવામાં આવ્યું હતું. આજે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અન્ય સ્થળે મતદાન ન હોવાથી અધિકારીઓ પણ દિવસભર આ બંને બુથ પર ખોડાયેલા રહ્યા હતા. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. સાંજે 6 વાગ્યા સુધીમાં માલીડા બુથ પર 80.41 ટકા જ્યારે નવા વાઘણીયામાં 82.59  ટકા મતદાન થયું હતું. બંને બુથ પર સરેરાશ 81.11 ટકા મત પડયા હતા.

ગત તા. 19ના નવા વાઘણીયામાં કુલ 293માંથી 210 લોકોએ મત આપ્યો હતો. જ્યારે માલીડામાં 628માંથી 414 લોકોએ મત આપ્યો હતો. આ બંને બુથ પર 624 મત પડયા હતા. જ્યારે આજે બંને બુથ પર 747 મત પડયા હતા. બંને બુથમાં પુરૂષોનું 83.69 અને મહિલાઓનું 78.40 ટકા મતદાન થયું હતું. બે દિવસ પહેલા થયેલા મતદાન કરતા 123 મત વધુ પડતા બંને ગામના બુથ પર સરેરાશ 15.19 ટકા જેટલું મતદાન વધી ગયું હતું.

સાંજે 6 વાગ્યે EVM તથા વીવીપેટ સીલ કર્યા બાદ ચૂંટણી સાહિત્ય રિસીવીંગ સેન્ટર ખાતે જમા કરાવવામાં  આવ્યું હતું. બાદમાં આ ઈવીએમ અને વીવીપેટને કૃષિ યુનિવર્સિટી ખાતેના સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવ્યા હતા. અગાઉ જેમાં મતદાન થયું હતું તે ઈવીએમ અને વીવીપેટના મત રદ કરવામાં આવશે. આજે જે ઈવીએમમાં ફેરમતદાન થયું છે તેને ગણતરીમાં લેવામાં આવશે.

ભેસાણ તાલુકાના આ બંને બુથ પર પ્રથમવાર ફેરમતદાન થતા લોકોને બીજીવાર મત આપવાનો મોકો મળ્યો હતો. જેના કારણે બે દિવસ પહેલા જે મત પડયા હતા તેનાથી આજે મતદાનની સંખ્યામાં વધારો થયો છે.

વિસાવદર બેઠકનાં સરેરાશ મતદાનની ટકાવારીમાં વધારો થશે 

વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં તા. 19ના સરેરાશ 56.89 ટકા મતદાન થયું હતું. ત્યારે નવા વાઘણીયામાં 71.67 અને માલીડામાં 65.92 ટકા મતદાન થયું હતું. આજે નવા વાઘણીયામાં 82.59 ટકા અને માલીડામાં 80.41 ટકા મતદાન થયું છે. આથી વિસાવદર બેઠક પરના કુલ મતદાનની ટકાવારીમાં પણ થોડો વધારો થશે.

Tags :