Get The App

બોટાદ જિલ્લામાં દોઢથી 8 ઈંચ ધોધમાર વરસાદ, લાઠીદડ ગામે પાણીમાં કાર તણાઈ

Updated: Jun 18th, 2025

GS TEAM

Google News
Google News
બોટાદ જિલ્લામાં દોઢથી 8 ઈંચ ધોધમાર વરસાદ, લાઠીદડ ગામે પાણીમાં કાર તણાઈ 1 - image


- ઈકો કારમાં આઠથી 9 વ્યક્તિ તણાયા, 2 નું રેસ્ક્યુ, 1 વ્યક્તિનો મૃતદેહ મળ્યો 

- તંત્રની રેસ્ક્યુ કામગીરી દરમિયાન ખેતરમાં ફસાયેલા 6 ખેતમજૂરોનો જીવ બચાવી સલામત સ્થળે ખસેડાયા : બરવાળા પંથકમાં 40 લોકોનું સ્થળાંતર

બોટાદ : બોટાદ જિલ્લામાં જાણે કે આભ ફાટયું હોય તેમ સતત બીજા દિવસે દોઢથી આઠ ઈંચ ધોધમાર વરસાદ ખાબકી ગયો હતો. જિલ્લામાં સાર્વત્રિક પડેલા ભારેથી અતિ ભારે વરસાદના કારણે લાઠીદડ ગામે રાત્રિના સમયે આઠથી નવ વ્યક્તિ સાથેની એક ઈકો કાર પાણીમાં ગરકાવ થઈ જતાં સરકારી તંત્રએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી બે વ્યક્તિને બચાવી લીધા હતા. જ્યારે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. બાકીના ગુમસુદા લોકોની મોડી રાત સુધી શોધખોળ હાથ ધરવા છતાં પણ કોઈ પતો લાગ્યો ન હતો.

બોટાદના બરવાળા પંથકમાં સવારે ૬થી રાત્રિના ૮ કલાક સુધી અનરાધાર આઠ ઈંચ જેટલું (૧૯૧ મિ.મી.) પાણી વરસી ગયું હતું. જેના કારણે પંથકમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. ભારે વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં લોકોની હાલત દયનિય બની હતી. જાનમાલના નુકશાનને બચાવવા માટે નિચાણવાળા વિસ્તારોમાંથી ૪૦થી ૫૦ લોકોનું સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડાયા હતા. બીજી તરફ બોટાદ શહેરમાં પણ સવારે ૮ વાગ્યા બાદથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. સાંજના છ વાગ્યા સુધીમાં મુશળધાર સાડા પાંચ ઈંચ (૧૩૮ મિ.મી.) વરસાદ વરસી જતાં સાર્વત્રિક પાણી જ પાણી... જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. બોટાદ તાલુકામાં ગઈકાલે પણ ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે મોડી સાંજના સમયે લાઠીદડથી સાંગાવદર ગામ વચ્ચે પાણીના ધસમસતા પ્રવાહના વહેણમાં એક ઈકો કાર સાથે આઠથી નવ વ્યક્તિ તણાઈ ગયા હતા. જે અંગેની જાણ થતાં જ રેસ્ક્યુ ટીમ તાબડતોડ દોડી ગઈ હતી અને ફાયર ટીમે એક્સટેન્ડેડ લેડરનો ઉપયોગ કરીને પ્રિયાંકભાઈ મહેશભાઈ ચૌહાણ (રહે, લાઠીદડ) અને યશવંતભાઈ વાવેતા (રહે, વીછિંયા)ના જીવ બચાવ્યા હતા. સાથે ઈકો કારને પણ શોધી કાઢી હતી. રાતનું અંધારૂં હોવાથી રેસ્ક્યુ કામગીરીને અટકાવી દેવામાં આવી હતી. જેને આજે વહેલી સવારથી ફરી શરૂ કરવામાં આવતા એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અન્ય લોકોની શોધખોળ કરવા છતાં પણ મોડી સાંજ સુધી કોઈ પતો લાગ્યો ન હોવાનું જાણવા મળ્યું હતું. વધુમાં તંત્રની રેસ્ક્યુ કામગીરી દરમિયાન એક ખેતરમાં ત્રણ પુરૂષ, બે મહિલા અને એક બાળક સહિતના છ ખેતમજૂર ફસાયેલા હોય, જેમણે મદદ માટે પોકાર કરતા ફાયર એન્ડ રેસ્ક્યુ ટીમે તુરંત પહોંચી જઈ તમામનો જીવ બચાવી સલામત સ્થળે ખસેડયા હતા.

બોટાદ, બરવાળા ઉપરાંત રાણપુર પંથકમાં પણ સવારથી લઈ સાંજ સુધીમાં સાડા ત્રણ ઈંચ (૯૧ મિ.મી.)  અને ગઢડામાં સવારથી બપોર સુધીમાં દોઢ ઈંચ જેટલું (૩૫ મિ.મી.) પાણી વરસ્યું હતું. જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી અનેક સ્થળોએ રસ્તાઓ બંધ થઈ ગયા હતા. જળાશયોમાં પાણીનો અઢળક જથ્થો ઠલવાયો હતો. તો જનજીવન ઉપર પણ વ્યાપક પ્રમાણમાં અસર થઈ હતી.

પાણીમાં તણાયેલાં લાપતા મુસાફરો 

લાઢીદડ નજીક ઈકો કાર પાણીમાં તણાઈ હતી. જેમાં નયનાબેન યશવંતભાઈ વાવેતા, મંજુબેન કનુભાઈ વાવેતા (રહે, બન્ને વીછિંયા), નીતાબેન મહેશભાઈ ચૌહાણ, હિતુબેન મહેશભાઈ ચૌહાણ (રહે, બન્ને લાઠીદડ), બાબુભાઈ તુલસીભાઈ ચૌહાણ, શારદાબેન બાબુભાઈ ચૌહાણ અને ઉર્વશીબેન મહેશભાઈ ચૌહાણ (રહે, તમામ શિવરાજગઢ, તા.ગોંડલ) હોવાનું જાણવા મળ્યું છે. તંત્ર દ્વારા તમામની શોધખોળ શરૂ હોવાનું જાણવા મળેલ છે. 

બોટાદમાં 6 કલાક વાહન વ્યવહાર બંધ રહ્યો

અતિ ભારે વરસાદના કારણે મઘુ અને ઉતાવળી નદીમાં ઘોડાપૂર આવતા તેના પાણી બોટાદ શહેરમાં ઘૂસી ગયા હતા. જેના કારણે શહેરનું જ્યોતિગ્રામ સર્કલ, નાગલપર દરવાજો, ગઢડા રોડ, ભાવનગર રોડ સહિતના રસ્તાઓ પાંચથી છ કલાક સુધી બંધ થઈ જતાં વાહન વ્યહાર બંધ થઈ ગયો હતો.

બોટાદમાં છેલ્લા 48 કલાકમાં 19 ઈંચ પાણી વરસ્યું

બોટાદ જિલ્લામાં ચોમાસાના આરંભે જ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું હતું. છેલ્લા ૪૮ કલાકમાં જ જિલ્લામાં સરેરાશ ૩૨૯ મિ.મી. વરસાદ ખાબકી ગયો છે. જેમાં સૌથી વધુ બોટાદમાં ૧૯ ઈંચ (૪૮૦ મિ.મી.), ગઢડામાં સાડા ૧૧ ઈંચ (૩૮૯ મિ.મી.), બરવાળામાં ૧૨ ઈંચ (૨૯૬ મિ.મી.) અને રાણપુરમાં છ ઈંચ (૧૫૧ મિ.મી.) વરસાદ વરસ્યાનું ફ્લડ કંટ્રોલ વિભાગમાં સત્તાવાર નોંધાયું છે.

સરકારી વિભાગો, સહાયક તંત્રોને એલર્ટમાં રખાયા

બોટાદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદના પગલે જિલ્લા કલેક્ટરે મોડી રાત સુધી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ખડેપગે રહી ખાસ નજર રાખી હતી. જિલ્લા પોલીસ, આરોગ્ય વિભાગ, તાત્કાલિક સેવા ૧૦૮, ફાયર વિભાગ અને અન્ય સહાયક તંત્રોને એલર્ટ પર રાખી જે સ્થળઓે લોકો ફસાયા હોવાના સમાચાર મળતા ત્યાં રેસ્ક્યુ કામગીરી માટે તાત્કાલિક ટીમો રવાના કરી હતી.

ધંધુકાના કાંઠાના ગામોમા એલર્ટ જાહેર

ધંધુકાની સુખભાદર નદીના પટ વિસ્તારમાં આવેલા ગામો અડવાળ, ધંધુકા, ગલસાણા, જીંજર, જાળીયા, મોરસિયા, વાગડ, વાસણા, રંગપુર, કોટડા અને ધોળી  માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે.. તંત્રએ નદી કાંઠે વસેલા ગ્રામજનોએ સાવચેતી રાખવા અને તંત્ર સાથે સંપર્કમાં રહેવા સૂચના આપી છે.તો આતરફ ધંધુકા શહેરમાં પણ ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને કોલેજ રોડ, ક્રીશ્ના પાર્ક સોસાયટી, જૈન નગર, નંદ નગર , સંગાથ સોસાયટી  અને આસપાસના વિસ્તારોમાં રોડ પર પાણી ઠેરવાઈ ગયા છે. કેટલીક સોસાયટીઓના ઘરોમાં પણ પાણી ઘૂસતાં લોકો પરેશાન થઈ ગયા છે.


Tags :