Get The App

ઓખાની ફિશીંગ બોટ પર મધદરિયે અંધાધુંધ ફાયરિંગ કરીને 8 માછીમારોના અપહરણ

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News
ઓખાની ફિશીંગ બોટ પર મધદરિયે અંધાધુંધ ફાયરિંગ કરીને 8 માછીમારોના અપહરણ 1 - image

પાકિસ્તાન મરીન એજન્સીની ચાંચીયાગીરી ફરી શરૂ : આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળ સીમાએ માછીમારી કરતા ગીર સોમનાથ જિલ્લાના 8 ખલાસીઓને ઉઠાવી જઈને પાક.જેલમાં ધકેલી દેવાયા

પોરબંદર, : માછીમારીની નવી સિઝન શરૂ થઈ છે ત્યાં જ પાકિસ્તાને લખણ લટકાવીને ઓખાની ફિશિંગ બોટ ઉપર અંધાધુંધ ફાયરિંગ કરીને આઠ ગીર સોમનાથ જિલ્લાના ખલાસીઓને ઉઠાવી જવાતા સાગરપુત્રોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સદનશીબે પાક મરીનના ફાયરીંગમાં કોઈ માછીમારને ઈજા નહીં પહોંચી હોવાનું જાણવા મળતા થોડી રાહત થઈ છે, પણ પરિવારજનોમાં ચિંતા પ્રસરી છે.

દરિયાઈ ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન કે જે આઈએમબીએલ તરીકે ઓળખાય છે તેની  નજીક  પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા  નાપાક હરકત કરવામાં આવી હોવાનું  જાણવા મળ્યું છે. પોરબંદર માછીમાર બોટ એસો.ના પૂર્વ પ્રમુખ અને માછીમાર અગ્રણી મનીષ લોઢારીએ આપેલી માહિતી મુજબ પાકિસ્તાન મરિન સિક્યુરિટી એજન્સી દ્વારા ગીર સોમનાથ જિલ્લાના માઢવાડ બંદરની અને ઓખાથી ઓપરેટ થતી 'નર નારાયણ' નામની ફિશિંગ બોટનું અપહરણ કરી લીધું છે. આ બોટમાં ૮  ખલાસીઓ સવાર હતા. પાકિસ્તાનના જવાનોએ ફિશિંગ બોટ પર ફાયરીંગ પણ કર્યું હોવાનું જાણવા મળે છે. જો કે ફાયરીંગમાં કોઈને ઈજા થઇ નથી.

ઓખાની આ ફિશિંગ બોટને અપહરણ કરી પાકિસ્તાન લઇ જવામાં આવી છે.  આ દરિયાઈ આતંકની ઘટના અંગે હજી સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, તેમજ કોસ્ટ ગાર્ડ કે નેવી સહિતની દરિયાઈ સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. અપહરણ કરાયેલા ખલાસીઓમાંથી મોટા ભાગના ખલાસી ગીર સોમનાથ પંથકના હોવાનું જાણવા મળે છે. ગુજરાતના ખલાસીઓ ભૂલથી કે અજાણતા આંતરરાષ્ટ્રીય  જળસીમા સુધી પહોંચી જાય છે, જેનો લાભ લઇ પાક મરીન દ્વારા તેનું અપહરણ કરવામાં આવે છે. જો કે ગત ફિશિંગ  સીઝન દરમ્યાન  એક પણ ફીશિંગ બોટનું અપહરણ થયું ન હતું અને આ વખતની ફિશિંગ સીઝન શરૂ થયા બાદ બોટ અપહરણની આ પ્રથમ ઘટના છે.