૮ પોલીસ સ્ટેશનમાં થતા કેસમાં પી.એમ. ગોત્રી કોલેજમાં કરાશે
સયાજી હોસ્પિટલનું ભારણ ઓછું કરવા માટે ગોત્રીમાં પી.એમ.ની કાર્યવાહી શરૃ થશે
,સયાજી હોસ્પિટલમાં પી.એમ.ની કામગીરીનું ભારણ ઓછું કરવા માટે ગોત્રી હોસ્પિટલમાં પી.એમ. કરવા સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. શહેરના ૮ પોલીસ સ્ટેશનમાં થતા શંકાસ્પદ કેસમાં પી.એમ.ની કાર્યવાહી ગોત્રી કોલેજમાં કરવામાં આવશે.
ગોત્રી જી.એમ.ઇ.આર.એસ. કોલેજમાં પી.એમ. અને અન્ય મેડિકો લીગલ કામગીરી કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા ઠરાવ કરીને મંજૂરી આપવામાં આવી છે.ગોત્રી કોલેજના સુપ્રિન્ટેન્ડન્ટે પોલીસ કમિશનર કચેરીમાં પત્ર લખીને જાણ કરી હતી કે, હાલમાં સયાજી હોસ્પિટલમાં જ પી.એમ.ની કામગીરી કરવામાં આવે છે. તેનું ભારણ ઓછું કરવા માટે અને વહેલી તકે પી.એમ. થાય તે માટે ગોત્રી મેડિકલ કોલેજને પણ પરમિશન આપવામાં આવી છે. શહેરના વિસ્તાર પ્રમાણે પોલીસ સ્ટેશનની ફાળવણી કરવા જણાવ્યું હતું. પોલીસ કમિશનર દ્વારા ગોત્રી કોલેજમાં પી.એમ. માટે જે.પી.રોડ, ગોત્રી, અકોટા, અટલાદરા, સયાજીગંજ, ફતેગંજ, ગોરવા અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ફાળવવામાં આવ્યા છે. ઉપરોક્ત પોલીસ સ્ટેશનમાં આવતા કેસમાં પી.એમ. ની કામગીરી ગોત્રી મેડિકલ કોલેજમાં કરવામાં આવશે.