સોમનાથ મંદિરના 75મા સ્થાપના દિવસે જ્યોતિર્લિંગને પ્રથમ ભસ્મ ત્રિપુંડ શૃંગાર
વૈશાખ સુદ પાંચમ તિથિ મુજબ ભક્તિભાવપૂર્ણ ઉજવણી પ્રથમ સ્થાપના દિનની સ્મૃતિમાં સરદાર વંદના અને પૂષ્પાંજલિ, ધ્વજાપૂજા, મહાપૂજન, સંધ્યા આરતી પૂર્વે વિશેષ શ્રૂંગાર અને દીપમાળા પણ યોજાયા
વેરાવળ, : દ્વાદ્દશ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરના વૈશાખ સુદ પાંચમ તીથી મુજબ 75મા સ્થાપના દિવસની આજે ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ તકે જ્યોતિર્લિંગને પોણી સદી પૂર્વે કરાયેલો પ્રથમ એવો ભસ્મ ત્રિપુંડ શૃંગાર આજે પણ કરાયો હતો. આ સાથે પ્રથમ સ્થાપના દિનની સ્મૃતિમાં સરદાર વંદના અને પૂષ્પાંજલી, ધ્વજાપૂજા, મહાપૂજન, સાયં આરતી પૂર્વે વિશેષ શ્રૂંગાર અને દીપમાળા યોજાયા હતા.
આજ રોજ પ્રથમ જ્યોતિલગ શ્રી સોમનાથ મંદિરના 75મા સ્થાપના દિવસની તીથી અનુસાર ભક્તિપુર્ણ ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ મંદિર દેશવાસીઓની આસ્થાનું પ્રતિક છે. આ મંદિર વિસર્જન બાદ નવસર્જનનું સર્વોત્તમ પ્રમાણ છે. યુગયુગાંતરથી અવિરત સોમનાથ મંદિરની આસ્થા અવિરત રહી છે. પરંતુ સદીઓ સુધી સર્જન અને વિસર્જનની પ્રક્રિયા બાદ દેશ સ્વતંત્ર થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ શક્ય બન્યું. જ્યારે મંદિરનું ગર્ભગૃહ તૈયાર થયું ત્યારે સોમનાથ જ્યોતિર્લીંગ સ્વરૂપની પ્રાણપ્રતિષ્ઠા 11 મે, 1951 અને વૈશાખ સુદ પાંચમના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે સવારે 9 કલાક અને 46 મિનિટે કરવામાં આવેલ હતી. આજે આ મહાન ક્ષણ ને 74 વર્ષ પૂર્ણ થયા છે.
આજે શ્રી સોમનાથ મંદિર ના 75 માં' માં સ્થાપના દિવસ નિમિત્તે જેમના સંકલ્પને કારણે સોમનાથ મંદિરનું નિર્માણ શક્ય બન્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલની સરદાર વંદના અને સરદારને પૂષ્પાજલી અર્પણ કરવામાં આવી હતી. બાદમં સોમનાથ મંદિર પર પૂજન કરીને નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. મંદિરની પ્રાણપ્રતિા સમયે સવારે 9.46 વાગ્યે મહાપૂજા કરવામાં આવી હતી, એ જ સમયે અને તે પ્રસંગે કરવામાં આવેલા શૃંગારની પ્રતિકૃતિરૂપ ભસ્મ ત્રિપુંડનો શૃંગાર પણ કરવામાં આવ્યો હતો. આજે વિશેષ રૂપે સંધ્યા આરતી સમયે મહાશૃંગાર કરી સોમનાથ મહાદેવને દીપમાળા અર્પણ કરવામાં આવી હતી.
11 મે, 1951નાં વૈશાખ સુદ પાંચમની એ યાદગાર ક્ષણ
વિશ્વમાં કરોડો ભક્તોના આસ્થાનું કેન્દ્ર સૌરાષ્ટ્રના રત્નાકર સમુદ્ર તટ પર બિરાજમાન આદિ જ્યોતિલગ સોમનાથ મહાદેવ મંદિરનો વૈશાખ સુદ પાંચમનાં રોજ તીથી પ્રમાણે, 75મો પ્રાણપ્રતિષ્ઠા દિવસ હોય છે. મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમયનાં પ્રત્યક્ષ દર્શીઓના કહેવા મુજબ તત્કાલીન રાષ્ટ્રપતિએ શિવલિંગના તળ ભાગે રાખેલી સુર્વણ શલાકા ખસેડીને શિવલિંગ સ્થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે 108 તીર્થસ્થાનોના અને 7 સમુદ્રોના જળ લાવીને સોમનાથ મહાદેવનો ધામધૂમથી ભવ્યાતિભવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો અને એ ધન્ય પળે 101 તોપોની સલામી પણ આપવામાં આવી હતી.