Get The App

મનરેગા જેવું જ પંચાયતના રોડના કામોમાં કૌભાંડ ભરૃચના ત્રણ તાલુકાના ગામોમાં વિકાસના નામે ૭ કરોડનો ભ્રષ્ટાચાર

યોગ્ય કામો કર્યા ના હોવા છતાં ગીર સોમનાથ જિલ્લાની બે એજન્સીઓએ બિલો રજૂ કર્યા અને પેમેન્ટ થઇ ગયું

Updated: May 31st, 2025

GS TEAM


Google News
Google News
મનરેગા જેવું જ પંચાયતના રોડના કામોમાં કૌભાંડ  ભરૃચના ત્રણ તાલુકાના ગામોમાં વિકાસના નામે ૭ કરોડનો ભ્રષ્ટાચાર 1 - image

ભરૃચ  તા.૩૧ ભરૃચ જિલ્લાના ત્રણ તાલુકા જંબુસર, આમોદ અને હાંસોટ તાલુકામાં મનરેગા કૌભાંડ  જેવું જ પંચાયતનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ત્રણે તાલુકાઓના ગામોમાં યોગ્ય કામો કર્યા નહી હોવા છતાં તાલુકા પંચાયતમાં  બિલો મૂકી ગીર સોમનાથ જિલ્લાની બે એજન્સીઓએ રૃા.૭.૩૦ કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ભરૃચમાં મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રતિક ચૌધરીએ ભરૃચ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં જણાવ્યું છે કે તા.૨૦ જાન્યુઆરી ૨૦૨૩થી તા.૩૦ જૂન ૨૦૨૪ના સમય દરમિયાન આમોદ, જંંબુસર અને હાંસોટ તાલુકાના ગામોમાં રોડના કરેલા કામોમાં એજન્સીઓએ ગેરરીતિ કરી છે.

ભરૃચ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ માલ સામાન સપ્લાય કરનાર શ્રી જલારામ એન્ટરપ્રાઈઝ અને મુરલીઘર એન્ટરપ્રાઈઝને ગામોમાં થયેલા કામોના બિલોની ચૂકવણી અંગે ફરિયાદ થયા બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં સરકારની એસઓપી મુજબ ગામોમાં વિકાસના કામો કર્યા ન હોવાનું તેમજ રસ્તાના કામોમાં ગેરરીતિ કરી હોવાનું બહાર આવ્યું હતું.

જંબુસર,આમોદ અને હાંસોટ ત્રણેય તાલુકાના ટીડીઓને નોટિસ આપી તપાસ માટે હાજર થવા ફરમાન કર્યું છતાં પણ તપાસમાં સહકાર આપ્યો ન હતો. ૫૬ ગામોમાં યોજનાના કામો કર્યા વગર જ જલારામ એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર પિયુષ રતિલાલ નુકાણી તથા મુરલીધર એન્ટરપ્રાઈઝ પ્રોપરાઈટ જોધાભાઈ નારણ સભાડ (બંને રહે.સુપાસી, તા.વેરાવળ, જિલ્લો ગીર સોમનાથ)ને રકમની ચૂકવણી કરી દીધી  હતી. આ કૌભાંડની તપાસ દરમિયાન સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને કરાર આધારિત કર્મચારીઓની પણ સંડોવણી હોવાની શક્યતા છે.

ગેરરીતિ આચરવામાં આવેલા ગામોના નામો

જંબુસરના કીમોજ, વહેલમ, બોજાદ્રા ગામમાં થયેલા વિકાસકામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો છે આ ઉપરાંત આમોદ તાલુકામાં ધમણાદ, પુરશા, રાણીપુરા અને દાદાપોર ગામે પણ કામોમાં ગેરરીતિ આચરવામાં આવી હતી જ્યારે હાંસોટ તાલુકાના સમલી, કંટીયાજાળ, સુણેવખુર્દ અને બોલાવ ગામમાં પણ વિકાસના કામોમાં ગેરરીતિ આચરાઇ હતી.

ટીડીઓ ફરજ પર ન હતા છતાં સહીઓ કરીને પૈસાની ચૂકવણી કરી

જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસના આદેશ બાદ તપાસ દરમિયાન એવી વિગતો બહાર આવી હતી કે હાંસોટના ટીડીઓ એમ.આઇ. પરમાર તા.૪ માર્ચ ૨૦૨૪થી તા.૩૦ જૂન ૨૦૨૪ દરમિયાન ફરજ પર હતાં છતાં બોલાવ ગ્રામ પંચાયતમાં માટી મેટલ રસ્તાના કામની ચૂકવણી માટે તૈયાર કરેલા વાઉચરમાં તા.૭ મે ૨૦૨૩ના રોજ સહી જોવા મળી હતી જે ખોટું છે. ટીડીઓ દ્વારા કરવામાં આવેલી અન્ય સહિઓ પણ ખોટી હોવાની શક્યતા જણાય છે.

દાહોદ જિલ્લા બાદ ભરૃચ જિલ્લામાં ભ્રષ્ટાચારની ફરિયાદ

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા ભ્રષ્ટાચારના કિસ્સા એક પછી એક એમ બહાર આવી રહ્યા છે. દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં કરોડો રૃપિયાનું કૌભાંડ બહાર આવ્યા બાદ ધીમે ધીમે હવે અન્ય જિલ્લાઓમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા કૌભાંડોની માહિતીનો પર્દાફાશ થઇ રહ્યો છે. ભરૃચ જિલ્લાના ત્રણ તાલુકાઓના ગામોમાં પણ થયેલા વિકાસકામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાયો હોવાનું બહાર આવતા આખરે પોલીસ ફરિયાદ નોધાવવી પડી છે.

Tags :