સ્મીમેરમા 10 દિવસ વેન્ટિલેટર પર રહ્યા બાદ 63 વર્ષીય વૃદ્ધે કોરોનાને હરાવ્યો
માત્ર 10 દિવસમાં અમારી મુશ્કેલીને ખુશીમાં ફેરવી, ડોક્ટરોનો આભાર માનવા મારી પાસે શબ્દો નથી ઃ પુત્ર
સુરતતા.24.જુલાઇ.2020.શુક્રવાર
કોરોના વાયરસ નાના બાળકો અને વૃદ્ધોને સૌથી વધારે અસર કરે છે. આજ સુધીના આંકડાઓ તપાસવામાં આવે તો વૃદ્ધો માટે કોરોના જોખમી સાબિત થયો છે.પરંતુ આવા આ સંજોગોમાં કોરોના સંક્રમિત વેડરોડના 63 વર્ષનાં વૃદ્ધ વેન્ટિલેટર પર રહ્યા બાદ સાજા થઈને ઘરે ગયા હતા.
વેડરોડ વિસ્તારના પ્રભુનગરમાં રહેતા 63 વષય જેઠાભાઈ ગુજરીયાનો કોરોના પોઝિટિવ આવતાં ગત તા.10મી સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમને શ્વાસ લેવામાં પણ ઘણી તકલીફ થતી હતી. દર્દીને સીવી સ્ટોકની અસર પણ હતી. શરૃઆતમાં સાત દિવસ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. એ સમયે કિડની અને લિવરમાં સોજો પણ આવ્યો હતો. પરંતુ દવાથી અને વેન્ટિલટરની મદદથી શ્વાસોચ્છવાસને નિયંત્રિત કરાયા. ત્યારબાદ ધીરે ધીરે ઓક્સિજન માસ્ક પર લાવવામાં આવ્યા. બાદમાં તેમની તબિયતમાં ધીરે ધીરે સુધારો થવા લાગ્યો હતો. આજે જેઠાભાઈ સંપૂર્ણ સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફર્યા હતા.
માત્ર ૧૦ દિવસમાં અમારી મુશ્કેલીને ખુશીમાં ફેરવી એમ જેઠાભાઈના પુત્ર અનિલભાઈ જણાવે છે. તેઓએ આભારની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે, ગત તા.૧૦મીએ મારા પિતાજીને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યારથી જ પરિવાર સહિત સ્વજનોમાં ઘણી ચિંતા હતી. એમાંય પિતાને શ્વાસની તકલીફ હતી, એટલે શરૃઆતથી વેન્ટિલેટર રાખવામાં આવ્યા હતા. અહીં આવ્યા ત્યારે હાલત અતિ ગંભીર હતી. છેલ્લે ઈશ્વરીય રૃપમાં સેવા કરતાં ડોક્ટરો પર વિશ્વાસ રાખ્યો કે તેઓ જે કરશે તે સારૃ કરશે. આજે મારા પિતાને ગંભીર હાલતથી ઉગાર્યા અને એમને સંપૂર્ણ સ્વસ્થ કર્યા એની મારી અને મારા પરિવારની ખુશી વર્ણવવા અને તબીબોનો આભાર માનવા મારી પાસે કોઈ શબ્દો નથી. સ્મીમેર હોસ્પિટલની સરાહના કરતા તેમણે કહ્યું કે, ઘર પરિવારની જેમ જ ડોક્ટરો અને નર્સ સારસંભાળ રાખતા હતાં, એવું મારા પિતા અમને ફોન ઉપર કહેતા ત્યારે અમને ખુબ નિરાંત થતી.
.