Get The App

આજે શહેરના 17કેન્દ્રો પર 6000 વિદ્યાર્થીઓની નીટ પરીક્ષા, પેપરો પહોંચાડવા સીઆરપીએફ જવાનો

Updated: Jun 20th, 2026

GS TEAM

Google News
Google News
આજે શહેરના 17કેન્દ્રો પર 6000 વિદ્યાર્થીઓની નીટ પરીક્ષા, પેપરો પહોંચાડવા સીઆરપીએફ જવાનો 1 - image

વડોદરાઃ નીટનું પેપર લીક થવાના કારણે તા.૨૧ જૂન, રવિવારે નીટની પરીક્ષા ફરી લેવામાં આવશે.વડોદરામાં ૧૭ કેન્દ્રો પર ૬૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપશે.પેપર લીક થવાના કારણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને સરકારની આબરુના થયેલા ધજાગરા બાદ નીટની ફરી લેવાનારી પરીક્ષા માટે તંત્ર ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો કરી રહ્યું છે.જેના ભાગરુપે જડબેસલાક  સિક્યુરિટી વ્યવસ્થા ગોઠવવાનો દાવો કરાયો છે.

જેમ કે એનટીએના વડોદરા કો ઓર્ડિનેટર ઉપરાંત એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ અને ટેકનોલોજી ફેકલ્ટીના ડીનની નોડલ ઓફિસર તરીકે વરણી કરવામાં આવી છે. ઉપરાંત મામલતદાર કક્ષાના અધિકારીઓને પણ પરીક્ષાની ફરજ સોંપવામાં આવી છે.પરીક્ષાની પૂર્વ સંધ્યાએ મોક ડ્રિલ કરવામાં આવી હતી.જેમાં સરકારી અધિકારીઓને સાથે રાખીને પરીક્ષા કેન્દ્રો પર જઈને એનટીએની ટીમે વ્યવસ્થાની ચકાસણી કરી હતી.મળતી વિગતો પ્રમાણે દરેક પરીક્ષા ખંડમાં વોલ ક્લોક લગાવવાની સૂચના આપવામાં આવી છે.ઉપરાંત સુરક્ષા વ્યવસ્થામાં કેન્દ્રીય સુરક્ષા બળ સીઆરપીએફના જવાનો રહેશે.પેપર પરીક્ષા સ્થળ સુધી લાવવા માટે સરકારી વાહનનો જ ઉપયોગ થશે.દરેક વાહનમાં બે સીઆરપીએફ જવાન, એક સ્થાનિક પોલીસ કર્મી, મામલતદાર કક્ષાના અધિકારી અને સ્થળ કો ઓર્ડિનેટર જશે.પેપર પરીક્ષા સ્થળ પર ક્યાંથી લાવવાનું છે તેની જાણકારી સ્થળ કો ઓર્ડિનેટરને આવતીકાલે ,સવારે છેક છેલ્લી ઘડીએ જ આપવામાં આવશે.

ઉપરાંત સુપરવાઈઝરો માટે પણ ગાઈડલાઈન જાહેર કરાઈ છે.દરેક વર્ગમાં બે ફરજ બજાવનારા બે સુપરવાઈઝરોને એક બીજા સાથે વાતચીત નહીં કરવાની તથા વિદ્યાર્થીઓને કોઈ પણ જાતનો તનાવ ના રહે તે પ્રકારે કામગીરી કરવાની સૂચના અપાઈ છે.સમગ્ર પરીક્ષા પર લાઈવ સીસીટીવી વડે નજર રખાશે.

વિદ્યાર્થીઓને ૧૫ મિનિટ વધારે અપાશે

પરીક્ષા કેન્દ્રો પર મેટલ ડિટેકટરથી ચકાસણીે

નીટ પરીક્ષા માટે આ વખતે અન્ય એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે.જેમાં પરીક્ષાનો સમય ૧૮૦ મિનિટથી વધારીને ૧૯૫ મિનિટ કરવામાં આવ્યો છે.આ વધારાના સમયમાં વિદ્યાર્થીઓના બાયોમેટ્રિક વેરિફિકેશન અને એટેન્ડન્સની કાર્યવાહી કરાશે.રફવર્ક માટે બેની જગ્યાએ ચાર પેજ આપવામાં આવશે.નીટની પરીક્ષાનો પ્રારંભ બપોરે બે વાગ્યાથી થશે.એ પહેલા પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને સવારે ૧૧ વાગ્યાથી પ્રવેશ અપાશે. દરેક કેન્દ્ર પર વિદ્યાર્થીઓની મેટલ ડિટેકટર થકી ચકાસણી થશે.દર વખતની જેમ ડિજિટલ વોચ સહિતના ઈલેક્ટ્રોનિક ઉપકરણો અંદર નહીં લઈ જવા દેવાય.વિદ્યાર્થીઓને આધાર કાર્ડ ,એડમિટ કાર્ડ, પાસપોર્ટ સાઈઝ અને પોસ્ટ કાર્ડ સાઈઝ એમ બે ફોટા, પાણીની ટ્રાન્સપરન્ટ બોટલ લઈ જવાની રહેશે.૧-૪૦ કલાક બાદ  વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્રમાં એન્ટ્રી નહીં અપાય.