Gujarat

થાન તાલુકામાં ગેસના પુરવઠામાં ઘટાડા બાદ 60થી 65 સિરામિક ઉદ્યોગો બંધ

By GS TEAM
19 Mar 20263 mins read
થાન તાલુકામાં ગેસના પુરવઠામાં ઘટાડા બાદ 60થી 65 સિરામિક ઉદ્યોગો બંધ

મધ્ય પૂર્વના દેશોમાં યુદ્વના કારણે સિરામીક ઉદ્યોગ હાલકડોલક

૨૦ માર્ચ બાદ વધુ ૭૦ એકમો બંધ થશે, અન્ય એકમો ૩૧ માર્ચ સુધી ચાલે તેવી સ્થિતિ, સંપૂર્ણપણે ઉદ્યોગો બંધ થાય તો ૧૫ હજાર શ્રમિકો રોજીરોટી ગુમાવશે

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં સિરામિકના ૨૨૦થી વધુ ઉદ્યોગોમાં મધ્ય પૂર્વના દેશોમાં યુદ્વથી ગેસનો પુરવઠો ૫૦ ટકા ઘટાડયો છે. જેના કારણે ઉત્પાદનમાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે. ગેસના ઘટાડા બાદ થાન તાલુકામાં અંદાજે ૬૦થી ૬૫ સિરામિક એકમો બંધ થયા હતા. આગામી દિવસોમાં વધુ એકમો બંધ થાય તેવી સ્થિતિ ઉભી થઇ છે.

થાન શહેર આસપાસના ગામોમાં ૨૨૨૦થી વધુ નાના- મોટા સિરામિકના એકમો વર્ષોથી ચાલી રહ્યાં છે. થાન  તાલુકાના સિરામિકની ચીજવસ્તુઓની દેશ અને વિદેશમાં ભારે ડિમાન્ડ રહે છે. સરકાર દ્વારા સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવમાં વધારા બાદ ગત જાન્યુઆરીથી પ્રતિ ક્યુબિક ઘટાડો કરતા થાન તાલુકામાં સિરામિકના ઉત્પાદનમાં મોટા પ્રમાણમાં વધારો થતા ઉઘોગકારો અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોમાં એકંદરે રાહત હતી. પરંતુ ખાડીના દેશોમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ગુજરાત ગેસ લિમિટેડ કંપની દ્વારા ગત તા.૦૬ માર્ચથી સિરામિક ઉદ્યોગમાં વપરાશના ૫૦% જેટલો ગેસ આપવાનું શરૃ કર્યું હતું અને ત્યારબાદ ઉદ્યોગકારો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા હાલ વપરાશના ૮૦% જેટલો ગેસ આપવામાં આવી રહ્યો છે. જેના કારણે થાન તાલુકાના સિરામિક ઉદ્યોગ હાલ મૃતપાય બની ગયો છે અને ઉત્પાદન ઘટતા હવે સિરામિક ઉદ્યોગ શરૃ રાખવો ઉદ્યોગકારો માટે મહામુસીબત બન્યું છે. આ સ્થિતિમાં ૧ એપ્રિલથી તમામ સિરામિક એકમો સંપૂર્ણપણે બંધ થાય તેવી સ્થિતિ ઉભી થઇ છે.

થાન તાલુકામાં આવેલા અંદાજે ૨૨૦થી વધુ સિરામિક એકમો પૈકી ૧૦ એકમો તો યુદ્ધની પરિસ્થિતિને કારણે બંધ જ થઈ ગયા હતા. જ્યારે ગેસના જથ્થામાં ઘટાડા બાદ ૬૦થી વધુ સિરામિક એકમો બંધ થઈ ગયા છે અને આગામી તા.૨૦ માર્ચ બાદ ૭૦ સિરામિક એકમો બંધ થઈ જશે અને બાકી જે સિરામિક એકમો રહેશે તે પણ આગામી તા.૩૧ માર્ચ સુધી જ ચાલી શકે તેવી સ્થિતિમાં હોવાનું સિરામિક ઉદ્યોગકારે જણાવ્યું હતું.

જોકે, થાનનો સિરામિક ઉદ્યોગ સંપૂર્ણ રીતે બંધ થશે તો દર મહિને રૃ.૩૦૦ કરોડથી વધુના ટર્ન ઓવર પણ સંપુર્ણ ઠપ થઈ જશે. ઉદ્યોગકારો ઉપરાંત ૧૫૦૦૦ થી વધુ શ્રમિકો-કર્મચારીઓ, ટ્રાન્સપોર્ટરો, માલ ભરવાનું કામ કરતા શ્રમિકો સહિત અંદાજે ૩૨૦૦૦ થી વધુ લોકો જોડાયેલા છે.

થાન તાલુકામાંથી વિદેશોમાં મોકલેલા બે કન્ટેનર યુદ્ધની પરિસ્થિતિને કારણે પરત આવતા નુકસાન

થાન તાલુકાના અલગ અલગ સિરામીક એકમો દ્વારા બનાવેલા સિરામિક આઈટમોના બે કન્ટેનર વિદેશોમાં નિકાસ માટે મોકલવામાં આવ્યા હતા પરંતુ યુદ્ધની પરિસ્થિતિને કારણે બંનેકન્ટેનર પરત આવતા કરોડો રૃપિયાનો સિરામિક આઈટમોનો માલ હાલ પડયો રહેતા ઉદ્યોગકારોને નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે.

ઉદ્યોગો બંધ થતાં શ્રમિકો પણ વતન તરફ રવાના

થાન તાલુકામાં આવેલ સિરામિક એકમોમાં અંદાજે ૧૫૦૦૦ થી વધુ શ્રમિકો કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પરંતુ સિરામિક એકમો બંધ થવા લાગતા હવે પરપ્રાંતિય શ્રમિકો પણ બેરોજગાર બની જતા પોતાના વતનની વાટ પકડી છે અને ટ્રેન અથવા બસ મારફતે વતન પરત ફરી રહ્યા છે.

થાન સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસમાં કંપની દ્વારા ભાવ વધારો ઝીંકાયો

થાન સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસમાં કંપની દ્વારા વપરાશના ૮૦% જથ્થો પૂરો પાડવાની સાથે સાથે તા.૦૯ માર્ચથી ભાવ વધારો પણ ઝીંકવામાં આવ્યો છે અને પ્રતિ ક્યુબિક કેટલો ભાવ વધારો કરવામાં આવ્યો છે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેમજ હાલ ઉદ્યોગકારોને ગેસ વપરાશ મુજબ પ્રોવિઝનલ બીલ પણ આપવામાં આવી રહ્યા છે અને તેમાં ભાવ વધારાની રકમ ચૂકવવાની જાણ કરવામાં આવી છે.