નડિયાદ મનપા વિસ્તારમાં 60 ટકા કાંસની સફાઈ હજૂ બાકી
- દબાણો હટાવ્યા બાદ બોક્સ ખોલી સફાઈ શરૂ
- એસ.એન. વાણિયા એજન્સી દ્વારા 10 દિવસમાં માત્ર 40 ટકા જ કામગીરી પૂર્ણ
મે મહિનાના અંતથી જૂન મહિનાના શરૂઆતી સપ્તાહમાં કમોસમી વરસાદના એંધાણ હતા. જો કે, વરસાદ કેરળ થઈ મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયો હોવા છતાં ગુજરાતમાં હજુ સુધી પહોંચ્યો નથી. જેથી ગુજરાતમાં હવે ૨૦ જૂન પછી સત્તાવાર રીતે ચોમાસાના આગમનની આગાહી છે. ત્યારે નડિયાદમાં મહાનગરપાલિકા દ્વારા વરસાદી કાંસની સફાઈનો વાષક કોન્ટ્રાક્ટ એસ.એન. વાણિયા એજન્સીને અપાયો છે.
એજન્સી દ્વારા ૧૦ દિવસથી કામગીરી શરૂ કરાઈ છે. જેમાં ચકલાસી ભાગોળથી ફતેપુરા રોડ તરફ, પારસ સર્કલથી બસ સ્ટેન્ડ સુધી કાંસની સફાઈ કરાઈ છે. બસ સ્ટેન્ડથી સરદાર પ્રતિમા સુધી બોક્સ ખોલી કાંસ સાફ કરાઈ હતી. પશ્ચિમ વિસ્તારમાં પીજ રોડ પર અને પવનચક્કી રોડ પર તેમજ ખાડમાંથી કમળા તરફ બોક્સ ખોલી સફાઈ કરાઈ રહી છે.
મનપાએ ૧૦ દિવસમાં કાંસની માત્ર ૪૦ ટકા જ કામગીરી પૂર્ણ કરી ૬૦ ટકા કામ બાકી છે. ચોમાસા દરમિયાન પણ જ્યાં બ્લોકેજ થયેલું જણાશે, ત્યાં તુરંત સફાઈ કરવામાં આવશે, તેમ મનપા સૂત્રોએ જણાવ્યું છે.
કાંસના લેવલિંગના અભાવે પાણીના પ્રવાહ પર અસર થઈ શકે
નડિયાદમાં વરસાદી કાંસની લાઈન વર્ષો જૂની છે, જ્યાં ગેરકાયદે બાંધકામો અને ધોવાણના કારણે અનેક સ્થાનોએ લેવલિંગ રહ્યું નથી. જેના કારણે પાણીનો પ્રવાહ શહેરમાંથી બહાર નીકળવામાં સમય લાગી શકે તેવી શક્યતાઓ છે. કાંસમાં ગંદકી ન રહેતા શહેરમાં અગાઉ જે કલાકો સુધી પાણી ભરાઈ રહેતું હતું, તે જલદી ખાલી થઈ જાય તેવી શક્યતાઓ છે.