જામનગરના આંગણે યોજાનારા 5555 કુંડી અશ્વમેઘ મહાયજ્ઞનું આયોજન મુલત્વી રાખવામાં આવ્યું હોવાની જાહેરાત કરાતાં સનાતનીઓમાં ભારે નિરાશા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગર શહેરની ભાગોળે ખંભાળીયા રોડ ઉપર એરપોર્ટની સામેના વિશાળ પટમાં સર્વ પ્રથમ વખત 5,555 કુંડી અશ્વમેઘ મહાયજ્ઞ તા.12થી 20 ફેબ્રુઆરી દરમિયાન યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ આયોજન હાલ મુલત્વી રખાવાનું આયોજકોએ જણાવતાં ચર્ચા ઉઠી છે, અને સનાતનીઓમાં નિરાશા જોવા મળી રહી છે.
રીધમ્સ સંસ્થા દ્વારા અશ્વમેઘ મહાયજ્ઞ યોજવાની જાહેરાત બાદ સ્થળ ઉપર 3500 જેટલા યજ્ઞ કુંડ પણ બની ગયા હતા. અગાઉ થયેલી જાહેરાત મુજબ યજ્ઞના ધાર્મિક કાર્યની સાથે સાથે વિશાળ મેદાનમાં બીઝનસ ફેર, બુક ફેર, શોપીંગ, પ્રોપટી ફેર, હેલ્થ ચેક અપ કેમ્પ, પર્યાવરણલની કેમ્પેઈન, મોટીવેશનલ સ્પીકરોના પ્રવચનો, હેલ્થ અવેરનેસના કાર્યક્રમો, કવિ સંમેલન તેમજ દિવસ દીઠ સંગીત-ભજન સંધ્યા, લોક ડાયરાના જાણીતા કલાકારોના કાર્યક્રમો, રાસ-ગરબાની જાણીતી મંડળીના કાર્યક્રમો મનોરંજન મેળા સહિતની ગોઠવણ પણ કરવામાં આવી હતી.
પરંતુ હવે આયોજનમાં ફેરફાર આવ્યો છે. આ અંગે આયોજક સંસ્થાના હોદ્દેદરો નિવેદનમાં જણાવે છે કે, સંસ્થા દ્વારા 5555 યજ્ઞ મહોત્સવ માટે યજમાનોના યજ્ઞ કુંડ બુકીંગ કરાવાયા હતા. પરંતુ આ સમય ગાળા દરમિયાન અન્ય ધાર્મિક, સામાજિક અને લગ્ન પ્રસંગો તેમજ વિદ્યાર્થીઓની પરીક્ષા હોવાથી એનઆરઆઈ સહિત મોટી સંખ્યામાં યજમાનોએ હાજર રહી શકવાની અસમર્થતા દર્શાવીને કાર્યક્રમની તારીખમાં ફેરફાર કરવા વિનંતી કરવામાં આવી હતી. તેથી આગામી દિવસોમાં નવા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે.
બિન સત્તાવાર રીતે આ વિશાળ કક્ષાનો કાર્યક્રમ યોજવા માટેની મંજૂરીની પ્રક્રિયાઓ પણ અટકી હોવાનું સંભળાઈ રહ્યું છે. જોકે હાલ આ ધાર્મિક ઉત્સવ મોકૂફ રખાયો હોવાથી શહેર જિલ્લાના સનાતનીઓ નિરાશ થયા છે.નાઘેડી નજીકના વિસ્તારમાં મોટી જગ્યા સમથળ કરીને 3,500 થી વધુ યજ્ઞ કુંડ બનાવી લેવાયા હતા, સાથો સાથ ડોમ વગેરે પણ ઊભા કરી લેવાયા હતા, જે આખરે ખોલી નાખવામાં આવ્યા છે, અને ખટારા ભરીને મંડપ વગરનો માલ સામાન પરત જઈ રહ્યો છે. જેથી સનાતનિઓમાં વધુ નિરાશા વ્યાપી છે.








