વૈદિક હોળી માટે સુરત શહેરમાંથી 5000 કિલો ગૌ-કાષ્ટ માંગ અમદાવાદ, વડોદરા અને મુંબઈ મોકલાયા
(પ્રતિનિધિ દ્વારા) સુરત,શનિવાર
ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે લોકોમાં ગૌ-કાષ્ટની મમાંગ ખૂબ વધી છે. સંસ્થા દ્વારા એક તરફ સુરતમાં પણ અલગ અલગ વિસ્તારની સોસાયટીઓમાં, એપાર્ટમેન્ટમાં, રો-હાઉસમાં મળીને લગભગ ૨૦૦૦ કિલો ગૌ-કાષ્ટ પહોંચાડવામાં આવી છે. તો બીજી તરફ આ ગૌ-કાષ્ટની માંગ અમદાવાદ ,બરોડા અને મુંબઈમાં પણ ઉપડી છે. ત્યાં પણ લોકો વૈદિક હોળી તરફ આકર્ષાયા છે. આ સંસ્થા દ્વારા ૫૦૦૦ કિલો જેટલી ગૌ-કાષ્ટ ત્યાં મોકલવામાં આવી છે.
સંસ્થાના પ્રવીણભાઈ મણિયા કહે છે, વૈદિક પ્રગટાવાતી હોળીના અનેક ફાયદાઓ પણ છે. આ હોળી થી દરેકના મનમાં ગૌ માતા પ્રત્યે ભાવના જાગશે. વળી વૈદિક હોળીથી વૃક્ષોનું નિકંદન પણ બચશે અને ગૌ-કાષ્ટના ઉપયોગથી ગૌમાતાની સેવા પણ થશે આમ ત્રિવેણી સંગમ જેવું સેવાનું કામ થશે. વાતાવરણમાં આરોગ્યને માટે નુકશાનકારક વાયુ હોઈ તેનો નાશ છાણાની હોળીની જ્વાળા થી થાય છે. જેથી વૈદિક હોળી જો પ્રગટાવવામાં આવે તો તે હોળીની પ્રદક્ષિણા અને ધુમાડાથી પણ લોકોના આરોગ્યને ફાયદો થશે.