Get The App

આણંદ મહાનગરપાલિકાના 15 કિ.મી. વિસ્તારમાં નવી 50 સિટી બસ દોડાવાશે

Updated: May 31st, 2025

GS TEAM


Google News
Google News
આણંદ મહાનગરપાલિકાના 15 કિ.મી. વિસ્તારમાં નવી 50 સિટી બસ દોડાવાશે 1 - image


- ટ્રાફિક વધુ હોવાનું બહાનું બતાવી અને કોરોના બાદ શહેરમાં બસો દોડતી બંધ થઈ હતી

- સીએનજી અને ઈલેક્ટ્રીક ૨૫-૨૫ બસો દોડાવવાનું આયોજન : મનપામાં નવા સમાવેલા ગામને પણ સિટી બસનો લાભ મળશે : 3.70 લાખ શહેરીજનો રાહતદરે મુસાફરી કરી શકશે 

આણંદ : આણંદ મહાનગરપાલિકામાં નગરજનોને રાહત દરે મુસાફરી કરવાનું પ્રાપ્ત થાય તે હેતુસર મનપા દ્વારા ૫૦ જેટલી સિટી બસો દોડાવવા સંદર્ભે આયોજન કરાઈ રહ્યું છે. જેથી આણંદ મહાનગરપાલિકાના સમાવિષ્ટ તમામ વિસ્તારોમાં થોડા સમય બાદ અધ્યતન સિટી બસ દોડતી થશે. ૩.૭૦ લાખ શહેરીજનોને રાહતદરે મુસાફરીનો લાભ પણ મળશે.

આણંદ શહેરમાં ૧૯૯૭ સુધી આણંદ નગરપાલિકા સંચાલિત સિટી બસ સસ્તા ભાડામાં તમામ માર્ગો પર દોડાવાતી હતી. ૨૦૦૦માં સિટી બસો બંધ કરી ભાવનગર વીટકોસ કંપનીને કોન્ટ્રાક્ટ આપી શહેરમાં સિટી બસ દોડાવવાની શરતે માત્ર એક રૂપિયા ટોકન ભાડામાં મંજૂરી અપાઈ હતી. છેલ્લા ઘણા વર્ષોથી આણંદ શહેરમાં ટ્રાફિક વધુ હોવાનું બહાનું બતાવી સિટી બસ સેવા બંધ કરી હતી. બાદમાં લાંબા અંતરના રૂટો બાંધણી ચોકડી, વડતાલ, વડોદરાના રૂટો પર વધુ પેસેન્જર મળે તે માટે ૨૦ સિટી બસ દોડાવવામાં આવી રહી છે. તંત્રના વાંકે આણંદ શહેરના ગરીબ- મધ્યમવર્ગ પરિવારો વધુ ભાડું ખર્ચી મુસાફરી કરવી પડતી હતી. જેથી આણંદ નગરપાલિકાએ બીજી વખત વીટકોસને જ કોન્ટ્રાક્ટ આપી શહેરમાં સિટી બસ દોડાવવા મંજૂરી આપી હતી. ત્યારે આણંદ શહેરમાં ૩૦ સિટી બસો દોડાવીને ૧૦૦ ટકા રૂટોનું સંચાલન કરાતું હતું. પરંતુ કોરોના મહામારી બાદ શહેરમાં સિટી બસ દોડાવવાનું બંધ થયું હતું. ત્યારથી અત્યાર સુધી વડતાલ, બાંધણી ચોકડીની બસ દોડી રહી છે. શહેરમાં સિટી બસના અભાવે લોકોને ખાનગી વાહનોમાં વધુ ભાડુ ચુકવી મુસાફર કરવા મજબૂર બન્યા છે.

આણંદ મહાનગરપાલિકા બન્યા પછી તેમાં લાંભવેલ, બાકરોલ, મોગરી, ગામડી, જીટોડિયા ગામોનો સમાવેશ થતા વિસ્તાર વધી ગયો છે. જેથી મનપા દ્વારા તમામ વિસ્તારમાં નવેસરથી સિટી બસો દોડાવવાનું આયોજન કરાયું છે. 

આણંદ મનપાના ડેપ્યુટી કમિશનર એસ.કે. ગરવાલે જણાવ્યું હતું કે, હાલ ૫૦ સિટી બસ શહેરના વિવિધ વિસ્તારમાં ફેરવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાંથી ૨૫ સીએનજી અને ૨૫ ઈલેક્ટ્રીક બસ હશે. પાલિકામાં સમાવેશ તમામ વિસ્તારમાં રૂટ નક્કી કરી બસ દોડાવાશે. સિટી બસના કોન્ટ્રાક્ટ સંદર્ભે હજૂ આયોજન થયું નથી. પરંતુ ટેન્ડર બહાર પાડવામાં આવશે. બાદમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. શહેરથી ૧૫ કિ.મી. વિસ્તારમાં દોડાવવામાં આવનારી સિટી બસનું ભાડું પણ વ્યાજબી રખાશે. 

નવા રૂટ અંગે અભિપ્રાય આપવા મનપાનો નગરજનોને અનુરોધ 

આણંદ મહાનગરપાલિકાને કયા રૂટ કે રસ્તેથી બસો દોડાવવી જોઈએ તે સંદર્ભે નગરજનો પણ માર્ગદર્શન કે અભિપ્રાય આપે તો મનપાને ભવિષ્યમાં રૂટ નક્કી કરવામાં સરળતા પડે. શહેરના નવા રૂટ સંદર્ભ નગરજનોને અભિપ્રાય આપવા મનપાએ અનુરોધ પણ કર્યો છે. 

Tags :