Gujarat

નડિયાદના કંજોડા પાટિયા અને શેરી સીમ પાસે અકસ્માતમાં 5 ને ઈજા

By GS TEAM
3 Dec 20252 mins read
નડિયાદના કંજોડા પાટિયા અને શેરી સીમ પાસે અકસ્માતમાં 5 ને ઈજા

- તાલુકામાં અકસ્માતના વધુ બે બનાવ

- ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા, બંને અકસ્માત મુદ્દે પોલીસે ગુનો નોંધ્યો

નડિયાદ : નડિયાદ-ડાકોર રોડ ઉપર કંજોડા પાટિયા અને શેરી સીમ નજીક બે અલગ અલગ બાઈક અકસ્માતમાં પાંચ લોકોને ઈજા થતા સારવાર અર્થે ખસેડાયા હતા. આ બંને અકસ્માત મામલે જે-તે વિસ્તારના પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. 

નડિયાદના કંજોડામાં રહેતા જયંતિભાઈ બાબુભાઈ રાવળ તેમની મંગેતર સેજલબેન કનુભાઈ રાવળ સાથે બાઈક પર મામાના ઘરે ગયા હતા. જ્યાંથી પરત કંજોડા તરફ જતા કંજોડા પાટિયા કટ ક્રોસ કરવા જતા ડાકોર તરફથી આવતી ગાડીએ બાઈકને ટક્કર મારી ગાડી ડિવાઇડર પર ચડી ગઈ હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક જયંતીભાઈ અને સેજલબેને ઇજા થતા સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે અકસ્માતના બીજા બનાવમાં નડિયાદના સોડપુરના મોટા બોરીયામાં રહેતા સુરેશભાઈ ઈશ્વરભાઈ પરમાર તેમના પત્ની મંજુલાબે સાથે બાઈક પર સાસુની ખબર કાઢવા માટે સાસરીમાં જતા હતા. આ દરમિયાન શેરી સીમ કરણપુરા રોડ ઉપર અલીણા તરફથી આવતું અન્ય બાઈક તેમના બાઈક સાથે અથડાતા બંને બાઈક ચાલકો તેમજ બાઈક પાછળ બેઠેલા મંજુલાબેનને રોડ ઉપર પડી જતા ઈજા થઈ હતી. આજુબાજુના લોકોએ ત્રણેય ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફત સારવાર માટે નડિયાદ સિવિલ ખસેડયા હતા. આ અકસ્માત મામલે મહુધા પોલીસે બાઈક ચાલક મનહરભાઈ ચૌહાણ (રહેવાસી ચૂણેલ) સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.