દ્વારકાની ગોમતી નદીમાં ન્હાવા જતાં 5 યુવતી ડૂબી, 1નું કરૂણ મોત
દરિયામાં તોફાની કરંટ વચ્ચે 15 દિવસમાં ત્રીજી ઘટના : જામનગરથી દર્શનાર્થે આવેલી યુવતીઓ એક બાદ એક ઉંડા પાણીમાં ખેંચાઈ : એક ઉંટસવારીનાં ધંધાર્થી અને ફાયર બ્રિગેડની ટીમે બચાવી
જામ ખંભાળિયા, : યાત્રાધામ દ્વારકાની ગોમતી નદીમાં આજે બપોરે ન્હાવા જતાં 5 યુવતીઓ ડૂબી હતી. જેમાંથી 1નું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4ને બચાવી લેવાઈ હતી. જામનગરથી દર્શનાર્થે આવેલી યુવતીઓ એક બાદ એક ઉંડા પાણીમાં ખેંચાઈ ગઈ હતી, જેમને એક ઉંટસવારીનાં ધંધાર્થી અને ફાયર બ્રિગેડની ટીમે બચાવી હતી. દ્વારકાનાં દરિયામાં તોફાની કરંટ વચ્ચે 15 દિવસમાં આજે ત્રીજી દુર્ઘટના બની હતી. પરિણામે હવે સરકારી તંત્ર અને યાત્રિકોએ સાવચેતી રાખવી જરૂરી બની છે.
પ્રાપ્ત માહિતી મુજબ યાત્રાધામ દ્વારકામાં આજે દર્શનાર્થે આવેલા જામનગરના કેટલાક પરિવારજનોમાં 5 યુવતીઓ ગોમતી નદીમાં ન્હાવા ઉતરી હતી. થોડી જ વારમાં એક બાદ એક પાંચેય યુવતીઓ ગોમતી નદીના પાણીના વહેણમાં ડુબવા લાગી હતી. આથી ઘાટ ઉપર રહેલા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જો કે, ફાયર બ્રિગેડની ટીમ આવે એ પહેલા સ્થાનિક તરવૈયાઓએ પણ ડૂબતી યુવતીઓને બચાવવા ગોમતી નદીમાં ઝંપલાવી દીધું હતું. જેમાં ખાસ તો એક ઉંટસવારી કરાવતા ધંધાર્થીએ જીવના જોખમે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ગોમતી નદીમાં ધસી જઈને ડૂબી રહેલી યુવતીઓને પાણીની ઉપર જ રહેવા મદદ કરી હતી. બીજી ફાયર બ્રિગેડની ટીમ પણ રેસ્ક્યુ બોટ સાથે પહોંચી ગઈ હતી અને પાંચેય યુવતીઓને પાણીમાંથી બહાર કાઢીને સારવાર માટે દ્વારકાની સરકારી હોસ્પિટલે ખસેડી હતી.
આ દુર્ઘટના મામલે પોલીસે જણાવ્યું કે, આજે ગોમતી નદીમાં સર્જાયેલી દુર્ઘટનામાં ભાગ્યેશ્વરી જનકસિંહ વાઢેર નામની 17 વર્ષની સગીરાનું મોત થયું હતું. જ્યારે તેમના પરિવારની અન્ય 4 યુવતીઓ રીયાબેન જેઠવા, તેજલ વાઢેર, કૃપાલી વાઢેર અને બંસી વાઢેરને બચાવી લઈને સારવાર માટે ખસેડવામાં આવી હતી. તેઓ જામનગરનાં રાંદલનગરનાં રહેવાસી છે અને આજે અહીં દ્વારકા દર્શનાર્થે આવ્યા હતા. જેઓ બપોરે ગોમતી નદીમાં સ્નાન કરી રહ્યા હતા, ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી.
નોંધનીય છે કે, હાલમાં ચોમાસુ નજીક આવી રહ્યું હોવાથી દરિયામાં તોફાની કરંટ વધી ગયો છે. જેથી દરિયામાં વિકરાળ મોજા ઉછળી રહ્યા છે અને ગોમતી નદીના પાણીનો પ્રવાહ પણ તેજ બની ગયો છે. બહારગામથી આવતા યાત્રીકો આ બાબતે અજાણ હોય અને ગોમતી નદીમાં નાહવા પડતા, તેમાં તણાવા લાગે છે અને જેમાં અનેક વખત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આવી જ રીતે છેલ્લા 15 દિવસમાં આવી ત્રણ દુર્ઘટના સર્જાઈ છે.