Bharuch Accident : ભરૂચ જિલ્લામાં અલગ અલગ પાંચ અકસ્માતના બનાવમાં પાંચ વ્યક્તિઓના મોત નીપજવા સાથે ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. બનાવ સંદર્ભે ફરિયાદોના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ, ગઈકાલે રાત્રે 1 વાગ્યાના સુમારે નેશનલ હાઇવે નં.48 ઉપર સુરતથી ભરુચ તરફના માર્ગે આઝાદ રોલિંગ શટલની સામે આશરે 35 વર્ષીય અજાણ્યા શ્રમિકનુ અજાણ્યા વાહનની અડફેટે મોત નીપજતા અંકલેશ્વર સીટી બી ડિવિઝન પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી હતી. તેમજ વાગરા પાણી પુરવઠાની નોકરી પતાવી ઝનોર ગામ ખાતે ઘરે પરત ફરી રહેલ બાઈક સવાર રસિકભાઈ ત્રિભોવનભાઈ અજમેરી ગઈકાલે રાત્રે 8 વાગ્યાની આસપાસ ઝનોર ગામ એનટીપીસી કંપની પાસે રસ્તા ઉપર પાર્ક ડમ્પરની પાછળ ઘૂસી જતા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે તબીબએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના ભાઈની ફરિયાદના આધારે નબીપુર પોલીસે ડમ્પર નંબરના આધારે ચાલકની શોધખોળ હાથ કરી હતી. તથા ગઈકાલે સવારે ઉંમલ્લાથી રાજપીપળા તરફના માર્ગ ઉપર દુવાધપુરાના નાળા પાસે એક ટેમ્પો ચાલકે બાઈક સવારને પાછળથી ટક્કર મારતા બાઈક ચાલક નીતિન શાંતિલાલ વસાવા (રહે-ઝઘડિયા ,ભરૂચ)ને ઇજા પહોંચી હતી. અને પાછળ બેસેલ સંબંધી શંકરભાઈ બાલુભાઈ વસાવાના માથાના ભાગે ટેમ્પોનું ટાયર ફરી વળતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે ટેમ્પો ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. ફરિયાદના આધારે ઉમલ્લા પોલીસે બેદરકારી દાખવનાર અજાણ્યા વાહન ચાલકની નંબરના આધારે શોધખોળ હાથ ધરી હતી. તદુપરાંત ગઈકાલે રાત્રે 55 વર્ષીય દેવેન્દ્રકુમાર ભગતજીભાઈ ચૌધરી બાઈક લઇ ઘરે પરત ફરી રહ્યા હતા. દરમ્યાન વાડીથી વાલીયા તરફના માર્ગ ઉપર મીરાપુર તરફ જતા તે વખતે અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટે લેતા ગંભીર ઈજાઓ થવાથી તેમનું મોત નીપજ્યું હતું. ફરિયાદના આધારે વાલીયા પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી હતી.
સેગવા ગામ પાસે માર્ગ ઉપરના ખાડાના કારણે અકસ્માતમાં રિક્ષા ચાલકનું મોત, બે મુસાફર ઘાયલ
મૂળ બોટાદના વતની અને હાલ સુરત ખાતે રહેતા મુકેશભાઈ મકવાણા ગઈ તા.15 સપ્ટેમ્બરના રોજ માતા સાથે મરણ પ્રસંગ પતાવી રિક્ષામાં ઘરે પરત ફરી રહ્યા હતા. રાત્રે 9:30 કલાકે નેશનલ હાઇવે નં. 48 ઉપર વડોદરાથી ભરૂચ તરફના માર્ગ ઉપર સેગવા પાટીયા પાસે રીક્ષા માર્ગ ઉપરના ખાડામાં પછડાતા સ્પીડ વધુ હોવાથી રીક્ષા ચાલક જીતેન્દ્રભાઈએ બેલેન્સ ગુમાવતા રીક્ષા રસ્તાની સાઈડમાં આવેલ ખાડામાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણેવ વ્યક્તિઓને ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જે પૈકી રીક્ષા ચાલક જીતેન્દ્ર ખોડાભાઈ બથવાર (રહે-જયહિન્દ સિંધીદોરા સોસાયટી, પારલે પોઇન્ટ, સુરત)નું ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે પાલેજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ કરી હતી.


