વડોદરામાં સાડા ચાર મહિનામાં ૪૬૬ નશેબાજ વાહન ચાલકો ઝડપાયા
ગયા આખા વર્ષ દરમિયાન ૪૪૫ કેસ થયા હતા અને તેના અગાઉના વર્ષમાં ૨૪૪
વડોદરા,વડોદરામાં રક્ષિત કાંડ થયા પછી પોલીસ તંત્ર નશેબાજ વાહન ચાલકોને શોધવા માટે મોડીરાત સુધી વાહન ચેકિંગ કરી રહ્યું છે. પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવા છતાંય નશેબાજો સુધરવાનું કે ગભરાવવાનું નામ લેતા નથી. આ વર્ષે અત્યારસુધી દારૃ પીને વાહન ચલાવવાના સૌથી વધુ ૪૬૬ કેસ નોંધાયા છે. જે આંકડો ગત આખા વર્ષ દરમિયાન કરવામાં આવેલા કેસ કરતા પણ વધારે છે.
જાહેર રોડ પર નશો કરીને વાહન હંકારતા નશેબાજો નિર્દોષ નાગરિકો, વાહન ચાલકો અને રાહદરીઓ માટે જોખમ ઉભું કરે છે. કેટલાક કિસ્સામાં તો નાગરિકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. તો કેટલાક કિસ્સામાં કાયમી શારીરિક ખોડખાંપણ રહી જતી હોય છે. દારૃની બદી એટલી હદે વધી ગઇ છે કે, નશેબાજો દારૃનો નશો કરીને મોડીરાત સુધી શહેરમાં ફરતા હોય છે. આ વર્ષની શરૃઆતથી પોલીસ દ્વારા નશેબાજા વાહન ચાલકો સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તેમાંય કારેલીબાગ મુક્તાનંદ નજીક થયેલા રક્ષિત કાંડ પછી પોલીસ વધુ સક્રિય થઇ છે. ૧ લી જાન્યુઆરીથી અત્યારસુધી પોલીસે કુલ ૪૬૬ નશેબાજ વાહન ચાલકોને ઝડપી પાડી ગુનો દાખલ કરી વાહન કબજે કર્યા છે. એટલે કે, રોજના ત્રણ નશેબાજ વાહન ચાલકો પોલીસના હાથે ઝડપાય છે. જોકે, આ વાહન ચાલકો પૂરઝડપે કે પછી વાંકા ચૂંકા વાહન ચલાવતા હોઇ પોલીસની નજરમાં તરત આવી જાય છે. જ્યારે એવા ઘણા નશેબાજ વાહન ચાલકો હોય છે. જેઓ વ્યવસ્થિત ગાડી ચલાવતા હોઇ પોલીસની નજરથી બચી જાય છે.
વર્ષ ૨૦૨૪ ના આંકડા પર નજર કરીએ તો સમગ્ર વર્ષ દરમિયાન દારૃ પીને વાહન ચલાવવાના કુલ ૪૪૫ કેસ થયા હતા. જે કેસ આ વર્ષે અત્યારસુધી કરવામાં આવેલા કેસ કરતા પણ ઓછા છે. જ્યારે વર્ષ ૨૦૨૩ માં આખા વર્ષ દરમિયાન ૨૪૪ કેસ કરવામાં આવ્યા હતા. આ આંકડા પર નજર કરીએ તો દર વર્ષે નશેબાજોની સંખ્યા વધતી જાય છે.
સાડા ચાર મહિનામાં દારૃના ૨૪૯૯ કેસ
દારૃ પીને ચાલતા નીકળવું, કોઇ વાહનમાં બેસીને જવું, દારૃના જથ્થા સાથે પકડાવું જેવા અન્ય દારૃના કેસ પણ દર વર્ષે વધતા જાય છે.
વર્ષ દારૃના કુલ કેસ
૨૦૨૩ ૮૨૭૭
૨૦૨૪ ૮૩૧૬
૧૩ મે ૨૦૨૫ ૨૪૯૯