ગુજરાતમાં 21 દિવસમાં 45 કરોડ લિટર ડીઝલનું વેચાણ, પેટ્રોલ પંપ પર 'ડીઝલ નથી' ના પાટિયા લાગ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Fuel Crisis: એક બાજુ છેલ્લાં ચાર-પાંચ દિવસથી સૌરાષ્ટ્ર, કચ્છ સહિત કેટલીક જગ્યાએ પેટ્રોલ પંપ પર ભારે વાહનોની કતારો અને ‘ડીઝલ નથી’ના પાટિયા લાગી રહ્યા છે. તેની સામે મે મહિનાના 21 દિવસમાં રાજ્યમાં ડીઝલનું વેચાણ 41 ટકા વધીને 45.27 કરોડ લિટરે પહોંચી ગયું હોવાનો દાવો કરાયો છે. સામાન્ય રીતે દર વર્ષે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનું વેચાણ બેથી પાંચ ટકા સુધી વધતું હોય છે. પરંતુ અછતની આશંકાના લીધે ડીઝલના વેચાણમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

અછતની આશંકાથી વેચાણમાં મોટો વધારો
ઈંધણ કટોકટીની અસર રાજ્યભરમાં વર્તાઈ રહી છે. કન્ઝ્યુમર પંપ પર ટ્રાન્સપોર્ટના વાહનો તેમજ કમર્શિયલ ઉપયોગ માટે વેચાતા ડીઝલના ભાવમાં કેટલાક દિવસોથી 40 રૂપિયાનો વધારો થઈ ગયો છે. કેટલીક જગ્યાએ તો પેટ્રોલ પંપ પર ‘બંધ’ના પાટિયા લાગી ગયા છે. આવી સ્થિતિ વચ્ચે પણ ગત વર્ષ કરતા આ વર્ષે મે મહિનાના 21 દિવસમાં રાજ્યમાં 13.23 કરોડ લિટર ડીઝલ વધુ વેચાયું હોવાનો ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા દાવો કરાયો છે. ગત વર્ષે આ જ સમયગાળામાં 32.03 કરોડ લિટરની સામે આ વર્ષે 45.27 કરોડ લિટરનું વેચાણ થયું છે. જેમાં કચ્છ, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં તો ડીઝલનો ઉપાડ 75થી 79 ટકા વધી ગયો હતો. જ્યારે આણંદ, બનાસકાંઠા, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 50થી 65 ટકા વધારે વેચાણ થયું હતું. આ અગાઉ માર્ચ મહિનામાં પણ ઈધણની તંગીના ભણકારાથી વેચાણ 19 ટકા જેટલું વધી ગયું હતું.








