વડોદરાની આંગણવાડીઓમાં 4311 બાળકો કુપોષિત અને 1410 અતિકુપોષિત
- ગુજરાત પોષણ અભિયાન હેઠળ આ બાળકોને તંદુરસ્ત બનાવવાંમાં આવશે
વડોદરા, તા. 29 જાન્યુઆરી 2020 બુધવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આઇસીડીએસ પ્રોજેક્ટમાં 399 આંગણવાડીઓ છે. ચાર ઘટકોમાં વિભાજિત આ આંગણવાડીમાં 4311 બાળકો કુપોષિત અને 1410 અતિ કુપોષિત બાળકો છે.
આ બાળકોને ગુજરાત પોષણ અભિયાન હેઠળ તંદુરસ્ત બનાવવામાં આવશે. વડોદરા કોર્પોરેશન આઇસીડીએસ પ્રોજેક્ટ દ્વારા વિવિધ કાર્યક્રમો સંદર્ભે અને ગુજરાત પોષણ અભિયાન અનુલક્ષીને મુખ્યપ્રધાને કોર્પોરેશનના અધિકારીઓની એક વિડીયો કોન્ફરન્સ રાખી હતી.
ગુજરાત પોષણ અભિયાન 2020 હેઠળ 100 ટકા બાળકોનું રસીકરણ આંગણવાડીઓના ઓછા વજનવાળા બાળકોને તંદુરસ્ત બનાવવાં કુપોષિત અને અતિકુપોષિત બાળકો મુક્ત આંગણવાડી બનાવવી કિશોરીઓમાં એનિમિયાના પ્રમાણમાં 6 ટકા ઘટાડો કરવો જન્મ સમયે ઓછા વજનવાળા બાળકોના પ્રમાણમાં 3 ટકાનો ઘટાડો કરવો વગેરે જે લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યા છે. તે સંદર્ભે સુચના આપવામાં આવી હતી.
વડોદરામાં 399 આંગણવાડીમાં પૂરક પોષણના 43793 લાભાર્થી છે. જેમાં પાંચ વર્ષ સુધીના બાળકો, સગર્ભા, ધાત્રી મહિલાઓ અને કિશોરીઓનો સમાવેશ થાય છે. બાળકોના પોષણના સ્તરની વિગતો જોઈએ તો 43327 બાળકોનું વજન કરવામાં આવ્યું હતું. જેમાં કુપોષિત અને અતિ કુપોષિત બાળકો મળી આવ્યા હતા.
1410 અતિ કુપોષિત બાળકોને મિશન પુષ્ટિ હેઠળ ગુજરાત પોષણ અભિયાન 2020થી 2022માં પાલક વાલીઓ દ્વારા દત્તક લેવામાં આવશે અને તેઓ બાળકનું વ્યક્તિગત ધ્યાન રાખશે એટલે કે બાળકની તંદુરસ્તી સુધારવાની જવાબદારી તેની રહેશે તેઓને બાળકોની સંભાળ રાખવાની રહેશે.
અત્યારે સુપોષણ સપ્તાહની ઉજવણી ચાલુ છે. તારીખ 29 તેનો છેલ્લો દિવસ છે. તારીખ 1ના રોજ શહેરના પાંચ વિધાનસભા વિસ્તારમાં મહિલા સંમેલન યોજાશે. જેમાં પાલક વાલીઓનું સન્માન કરવામાં આવશે.