70 હજાર લીટરની ક્ષમતા ધરાવતી ટાંકી બિસ્માર બનતા સાવચેતીના ભાગરુપે દૂર
કરાવામાં આવી
સુરેન્દ્રનગર - દસાડા તાલુકાના
વડગામને પાણી પૂરું પાડતી છેલ્લા ૪૦ વર્ષ કરતા પણ જૂની ૭૦ હજાર લીટર પાણીની ક્ષમતા
ધરાવતી ટાંકી જર્જરીત બની ગઈ હતી અને ટાંકીના પગથિયા પણ તૂટી ગયા હતા.
ગ્રામ
પંચાયત તેમજ રહેણાંક વિસ્તારની બાજુમાં આવેલ વર્ષોે જૂની પાણીની ટાંકી બિસ્માર બની
જતા ગમે ત્યારે પડી જવાથી દુર્ઘટના સર્જાવવાની ભીતિ સેવાઈ રહી હતી. આથી આ મામલે ગત
૨જી ઓક્ટોબરના રોજ યોજાયેલી સામાન્ય સભામાં ઠરાવ પણ કરવામાં આવ્યો હતો. જે અંગે
ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આથી અનુભવી ટીમ દ્વારા કોઈ જાનહાનિ કે
દુર્ઘટના થાય તે પહેલા જ સુરક્ષાના ભાગરૃપે ગ્રામ પંચાયત હસ્તકની પાણીની ટાંકીને
જમીન દોસ્ત કરવામાં આવી હતી. જો કે ગ્રામ પંચાયત દ્વારા પાણીની ટાંકી જર્જરીત બની
જતાં ગ્રામજનોને પાણી માટે કોઈ અગવડતા ન પડે તે માટે ગામમાં જ પીવાના પાણી માટે બે
સંમ્પ બનાવવામાં આવ્યા છે. જેથી બિસ્માર ટાંકીને પાડી દીધા બાદ પણ ગામમાં પાણીની
કોઈ સમસ્યા સર્જાશે નહીં.


