Gujarat

૪૦ કરોડના ખર્ચે બનાવાયેલો હાટકેશ્વરબ્રિજ ત્રણ કરોડના ખર્ચે છ મહીનામાં જમીનદોસ્ત કરી નંખાશે

By GS TEAM
11 Jul 20251 min read
૪૦ કરોડના ખર્ચે બનાવાયેલો  હાટકેશ્વરબ્રિજ ત્રણ કરોડના ખર્ચે છ મહીનામાં જમીનદોસ્ત કરી નંખાશે

  અમદાવાદ,ગુરુવાર,10 જુલાઈ,2025

રુપિયા ૪૦ કરોડના ખર્ચે અજય ઈન્ફ્રાકોન દ્વારા હાટકેશ્વરબ્રિજ બનાવાયો હતો. ૧૫૦૦થી પણ વધુ દિવસથી બંધ એવા આ બ્રિજને રુપિયા ૩.૯૦ કરોડના ખર્ચથી છ મહીનામાં જમીનદોસ્ત કરી નંખાશે.મુંબઈ સ્થિત શ્રી ગણેશ કન્સ્ટ્રકશનને  હયાતબ્રિજ તોડવા કામગીરી અપાઈ છે.બ્રિજ તોડયા પછી સ્ટીલ સહીતની અન્ય ચીજના વેચાણથી થનારી આવક કોન્ટ્રાકટર લઈ જશે.હયાતબ્રિજ તોડયા પછી આ સ્થળે નવો બ્રિજ બનાવવા કોઈ આયોજન કરાશે નહીં.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હયાત હાટકેશ્વરબ્રિજને તોડી પાડવા રુપિયા ૯.૩૧ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતુ.આ કામગીરી કરવા ત્રણ કંપની કવાલીફાય થઈ હતી. કોર્પોરેશન તરફથી ટેકનીકલ ઈવેલ્યુએશન પછી બ્રિજ તોડવા મુકેલા અંદાજ કરતા પણ ઓછા ભાવ શ્રી ગણેશ કન્સ્ટ્રકશન દ્વારા ભરવામા આવ્યા હોઈ કયા કારણથી આ કંપનીએ ઓછા ભાવ  ભર્યા એ અંગે અધિકારીઓ દ્વારા પુછપરછ કરાઈ હતી.કંપની તરફથી એવો જવાબ અપાયો હતો કે,બ્રિજ તોડવા રુપિયા ૩.૯૦ કરોડનો ખર્ચ થાય એમ હોવાનુ તેમના ઈન્સપેકશન દરમિયાન ધ્યાનમાં આવેલુ છે. ઉપરાંત બ્રિજ તોડવાની કામગીરી દરમિયાન નીકળનાર મટીરીયલમાંથી અંદાજે રૃપિયા ચાર કરોડ જેટલી આવક થવાની સંભાવના છે. ચોમાસાના સમય સાથે કુલ છ મહીનામાં હયાત હાટકેશ્વરબ્રિજ આ કંપની દ્વારા તોડી પાડવામાં આવશે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગદાણીએ કહયુ, હયાત હાટકેશ્વરબ્રિજને તોડયા પછી આ સ્થળે નવો બ્રિજ બનાવાશે નહીં.