Get The App

ધોળકા અને બગોદરામાં અકસ્માતના 4 બનાવમાં 4ના મોત

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
ધોળકા અને બગોદરામાં અકસ્માતના 4 બનાવમાં 4ના મોત 1 - image

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતના બનાવ વધ્યા

ધોળકા શહેરમાં 2, ગ્રામ્યમાં 1 અને બગોદરામાં 1 વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં મોત

બગોદરા - અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. તાજેતરમાં બાવળા હાઇવે પર રામનગર ગામ પાસે ટ્રક પાછળ પિકઅપ વાન અથડાતા ચાર લોકોના મોત નીપજ્યા હતા તેની શાહી હજુ સુકાઈ નથી ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતની ચાર ઘટનામાં ચાર લોકોના મોત થયા છે.

અકસ્માતના પ્રથમ બનાવમાં ધોળકા શહેરની વટામણ ચોકડી પાસે એક ટેન્કર ચાલકે રાહદારી નરેશભાઈ પલજીભાઈ ડાભી (રહે.મુજપર ગામ, ધોળકા)ને અડફેટે લેતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

બીજા બનાવમાં શહેરના કલિકુંડ સર્કલ પાસે એક્ટિવા લઈ જઈ રહેલા યુવકને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ચાલક યુવક સુરેશભાઈ રાકેશભાઈ પ્રજાપતિ (રહે. ગધેમાર વિસ્તાર,ધોળકા)નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

ત્રીજા બનાવમાં સિમેજ ગામે ભાજીપાંવની દુકાન ચલાવતા મુજ કુશવા દુકાન બંધ કરીને કોઠ ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક આખલો રોડ પર ધસી આવતા અકસ્માત સર્જાયો હતો અને ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

ચોથા બનાવમાં બગોદરાની તારાપુર ચોકડી પાસે વૃદ્ધ હરિભાઈ પૂજાભાઈ પંચાલને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.  અકસ્માતના બનાવને લઈ ધોળકા, બગોદરા, કોઠ પોલીસે તપાસ હાથ ધરી છે.