વલસાડના ઉમરગામમાં સામુહિક આપઘાત કેસનો ભેદ ઉકેલાયો, સ્યુસાઈડ નોટના આધારે 4 આરોપીની ધરપકડ
Valsad News : વલસાડ જિલ્લાના ઉમરગામના સોળસુંબા ગામે નિલકંઠ એપાર્ટમેન્ટના એક ફલેટમાંથી 27 માર્ચ, 2025ના રોજ દંપતિ અને અઢી વર્ષીય માસૂમ બાળકની ભેદી સંજોગોમાં લાશ મળી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને સ્યુસાઈડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે પરિવારના સામુહિક આપઘાત કેસનો ભેદ ઉકેલાયો છે. જેમાં નકલી કંપનીમાં નાણાં રોકાણ કરવાની પૈસા ગુમાવતાં મૃતકે પરિવાર સાથે મોતને વ્હાલુ કર્યું હોવાનું સામે આવ્યું છે.
ઉમરગામમાં સામુહિક આપઘાત કેસ
વલસાડ જિલ્લાના ઉમરગામના સોળસુંબા ગામે નિલકંઠ એપાર્ટમેન્ટના ફલેટ નં. 304માંથી દંપતિ સહિત ત્રણની લાશ મળી આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા બાદ પતિ શિવમની ફાંસો ખાધેલી હાલત અને બેડ પર પત્ની આરતીની ગળેફાંસો ખાધેલી હાલતમાં તથા પુત્ર નક્ષની લાશ મળી આવી હતી. સમગ્ર ઘટના પોલીસ તપાસ આદરી હતી. જેમાં મૃતકે લખેલી સુસાઈડ નોટ પોલીસના હાથે લાગી હતી.
સ્યુસાઈડ નોટના આધારે 4 આરોપીની ધરપકડ
સુસાઈડ નોટમાં મૃતકે લખ્યું હતું કે, 'FX બુલિયન વેબસાઈટ પર સંજય પટેલ નામના વ્યક્તિએ રોકાણ કરાવ્યું હતું. આ પછી તે રોકાણનું વળતર આપતો ન હતો અને ફોન પણ ઉઠાવતો ન હોવાથી આપઘાત કરી રહ્યું છું.' સુસાઈડ નોટના આધારે પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરતાં સુરતના મુખ્ય આરોપી મોહમ્મદ અઝમલ ગરાણા સુધી પહોંચી હતી. મોહમ્મદ અઝમલ FX બુલિયન નામે નકલી ટ્રેડિંગ કંપની બનાવીને લોકો પાસે રોકાણ કરાવતો હતો. આ મામલે પોલીસે મોહમ્મદ અઝમલ સહિત દાનીશ સલીમ ઉશ્માન અલી શાહ, મોહમ્મદ ઝુનૈદ અને રાજકોટમાં રહેતા શહેબાઝ ઉંમર કાસમ માલવિયાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શું હતી સમગ્ર ઘટના?
વલસાડના ઉમરગામના સોળસુંબા ગામે ક્રિષ્ણાનગરમાં નિલકંઠ એપાર્ટમેન્ટમાં રહેતા શિવમ વિશ્વકર્મા (ઉં.વ.28) પત્ની આરતી વિશ્વકર્મા (ઉં.વ.25) અને અઢી વર્ષીય પુત્રની ભેદી સંજોગોમાં લાશ મળી આવી હતી. ઘટનાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે એફએસએલની મદદથી તપાસ આદરી હતી. પોલીસ અધિકારી દ્વારા ઘટના અંગે રહીશોની સઘન પૂછપરછ આદરી હતી. ફ્લેટમાં બેડ પરથી પત્ની અને માસૂમ પુત્રની અને શિવમની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી.