ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ કાયદેસર કરાવવા ત્રણ વર્ષ દરમિયાન 3975 અરજી

વર્ષ-2022 પૂર્વેના ગેરકાયદે બાંધકામ કાયદેસર કરવા સરકારે ઇમ્પેક્ટ ફીની સ્કીમ મુકી છે
નિયમ મુજબ 1383 અરજી મંજૂર અને 222 અરજી નામંજૂર, મહાપાલિકાએ બાંધકામ કાયદેસર કરતા રૂા. 28.54 કરોડની આવક
ભાવનગર શહેરમાં ગેરકાયદે બાંધકામ કાયદેસર કરાવવા માટે ઇમ્પેક્ટ ફીની સ્કીમ હેઠળ આશરે ત્રણ વર્ષમાં કુલ ૩૯૭પ અરજી આવી છે, જેમાં મહાપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ વિભાગે બાંધકામનુ નિરીક્ષણ અને પુરાવાની ચકાસણી કર્યા બાદ નિયમ મુજબ ૧૩૮૩ અરજી મંજૂર કરી છે, જયારે રરર અરજી નામંજૂર કરવામાં આવી છે. મહાપાલિકાને ઇમ્પેક્ટ ફી હેઠળ કુલ રૂા. ર૮,પ૪,૦૪,૧૦૧ ની આવક થઈ છે. રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફીની સ્કીમ ગત તા. ૧૭ ઓકટોબર-ર૦રર ના રોજ જાહેર કરી હતી, જેમાં ગત તા. ૩૦ સપ્ટેમ્બર-ર૦રર પહેલાના ગેરકાયદે બાંધકામ નિયમ મુજબ કાયદેસર કરવા મંજૂરી આપવામાં આવી છે.
ત્યારબાદ ઇમ્પેક્ટ ફીની સ્કીમ ૬-૬ માસ માટે લંબાવવામાં આવી રહી છે. તાજેતરમાં ફરી ઇમ્પેક્ટ ફીની સ્કીમ આગામી ડિસેમ્બર-ર૦રપ સુધી લંબાવવામાં આવી છે તેથી હજુ આ સ્કીમનો લોકો લાભ લઈ શકશે તેમ મહાપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ ઓફીસરે માહિતી આપતા જણાવેલ છે.
નિયમ મુજબ બાંધકામ કાયદેસર કરાશે : અધિકારી
રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફીની સ્કીમ જાહેર કરી છે, જેના પગલે ગેરકાયદે બાંધકામ કાયદેસર કરાવવા ઘણી અરજી આવી રહી છે પરંતુ આ અરજીમાં તપાસ કર્યા બાદ નિયમ મુજબ બાંધકામ કાયદેસર કરવામાં આવે છે. ઘણા બાંધકામ નિયમ મુજબ ન હોય તો આવી અરજી નામંજૂર કરવામાં આવે છે. આ સ્કીમના નિયમ મુજબ બાંધકામ કાયદેસર કરવામાં આવશે તેમ મહાપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ ઓફીસર યુ.ડી.ડોડીયાએ જણાવેલ છે.
- ભાવનગરના ડીઆરએમની બદલી, પોસ્ટીંગ ઓર્ડર બાકી
ભાવનગર: ભાવનગરના ડિવિઝનલ રેલવે મેનેજર રવિશકુમારની બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો છે પરંતુ હજુ પોસ્ટીંગનો ઓર્ડર બાકી હોવાનું જાણવા મળ્યું હતું. સામાન્ય રીતે ડીઆરએમની દર બે વર્ષે બદલી થતી હોય છે અને ડીઆરએમ રવિશકુમારને બે વર્ષને અહીંની ફરજ દરમિયાન બે વર્ષ થયા હોવાનું જાણવા મળ્યું હતું. રેલવે બોર્ડ દ્વારા આજે દેશના વિવિધ રેલવે ડિવિઝનમાં ફરજ બજાવતા ૩૨ જેટલા પ્રબંધકની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા. જેમાં ભાવનગરના ડીઆરએમનો પણ સમાવેશ થાય છે. નવા ડીઆરએમ તરીકે દિનેશ વર્માની નિમણૂક કરવામાં આવી છે.
- પાલિતાણામાં અખંડ મહા મૃત્યુંજય મંત્રના અખંડ જાપનું આયોજન
પાલિતાણા: પાલિતાણામાં કાર્યરત વિવેકાનંદ કેન્દ્રના કાર્યકર્તા દ્વારા અરુણાચલ પ્રદેશની શાંતિ અને સમૃદ્ધ માટે છેલ્લા ૨૯ વર્ષથી શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે અખંડ મંત્ર જાપ કરવામાં આવે છે. જે અંતર્ગત પાલિતાણામાં શેત્રુંજય તળેટીમાં બિરાજમાન નાગનાથ મહાદેવ મંદિરે મહામૃત્યુંજય મંત્રના અખંડ જાપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શિવભક્તો, રાષ્ટ્રપ્રેમીઓને જોડાવા અનુરોધ કરાયો છે.
- અષાઢના અંતિમ દિવસે ૪ તાલુકામાં સામાન્ય વરસાદ
ભાવનગર: વરસાદના ધોરી માસ ગણાતા અષાઢ માસના અંતિમ દિવસે પણ મેઘરાજાએ શ્રીકાર વરસવાના બદલે માત્ર હાજરી પૂરાવી હતી. જિલ્લામાં વલ્લભીપુર, ઘોઘા, પાલિતાણા અને તળાજામાં આજે દિવસ દરમિયાન સામાન્ય વરસાદ વરસ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભાવનગરમાં મેઘવિરામ વચ્ચે સતત ત્રીજા દિવસે મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો.
- ભાવનગરમાં પેન્શનર્સ એસો.ના સભાખંડમાં આજે માનવ સાંકળ
ભાવનગર: ભાવનગર પરા સ્થિત આઈઆરપીએના સભાખંડમાં આવતીકાલ તા. ૨૫ને શુક્રવારે સવારે ૧૦ વાગ્યે માનવ સાંકળ કાર્યક્રમ યોજાશે. જેમાં ઓલ ઈન્ડિયા રીટાયર્ડ રેલવે ફેડરેશન સિકંદરાબાદના જનરલ સેક્રેટરી વીડિયો કોન્ફરન્સ દ્વારા માગણીઓ વિશે માહિતી આપશે. તેમ યાદીમાં જણાવાયું હતું.









