Gujarat

ઉત્તરાયણના દિવસે પતંગના દોરાના કારણે ૩૭ લોકોને ઇજા

By GS TEAM
15 Jan 20261 min read
ઉત્તરાયણના દિવસે પતંગના દોરાના કારણે ૩૭ લોકોને ઇજા

 વડોદરા,ઉત્તરાયણના તહેવારમાં પતંગના દોરાના કારણે ઇજા થવાથી ૨૭ દર્દીઓ સયાજી હોસ્પિટલમાં અને ૧૦ દર્દીઓ ગોત્રી હોસ્પિટલમાં  સારવાર માટે આવ્યા હતા. જ્યારે પતંગ ચગાવતા પડી જવાના અને વાહન અકસ્માતના થઇને કુલ ૧૬૪ દર્દીઓ ઉત્તરાયણના દિવસે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં આવ્યા હતા.

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે સયાજી હોસ્પિટલમાં સતત દર્દીઓનો ઘસારો રહ્યો હતો. તેમાંય ખાસ કરીને ઉત્તરાયણના દિવસે કુલ ૧૬૪ દર્દીઓ સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હોવાની વિગતો મળી છે. આ દિવસે  માર્ગ અકસ્માતના અને પતંગના દોરાથી ઇજા થવાના સૌથી વધુ કેસ નોંધાયા છે. ૧૪ મી તારીખે બપોરે એક વાગ્યે તરસાલી સોમનાથનગર પાસેથી જતા મોપેડસવાર ધુ્રમિલ પરેશભાઇ પટેલ ( ઉં.વ.૩૨) ને પતંગના દોરાના કારણે ઇજા થતા પાંચ આંગળીઓ કપાઇ ગઇ હતી. જ્યારે અન્ય એક કિસ્સામાં  કારેલીબાગ પાણીની ટાંકી રોડ પર પતંગના દોરાના કારણે ૭ વર્ષના બાળકના બંને પગે ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.  આ ઉપરાંત નાની અને સામાન્ય ઇજાના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર માટે ગયા જ નહતા. દર્દીઓનો સૌથી વધારે ઘસારો ઉત્તરાયણના દિવસે રહ્યો હતો. આ ઘસારાને  પહોંચી વળવા માટે તંત્ર દ્વારા શરૃઆતથી જ આયોજન કરવામાં આવ્યું હતું અને વધારે સ્ટાફ અને બેડ તૈયાર રાખવામાં આવ્યા હતા.