- વાહક જન્ય રોગ અટકાયત ઝુંબેશ દરમિયાન
- મેલેરિયાના માત્ર 2 કેસ : પોરા મળતાં સંસ્થાઓને નોટિસ આપી રૂા. 3.49 લાખનો દંડ વસૂલાયો
કરમસદ-આણંદ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચાલુ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર-૨૦૨૫ દરમિયાન વાહક જન્ય રોગ અટકાયત કામગીરી હાથ ધરાઈ હતી. મ્યુનિસિપલ હેલ્થ ઓફિસરના સુપરવિઝન હેઠળ આણંદ શહેર અને આસપાસના વિસ્તારો વિદ્યાનગર, કરમસદ, બાકરોલ, મોગરી, જીટોડિયા, લાંભવેલ તથા ગામડીમાં આરોગ્ય લક્ષી સઘન ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
આ કામગીરીમાં અર્બન મેલેરિયા સ્કીમની ટીમો અને અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફની સંયુક્ત કામગીરીનો સમાવેશ થાય છે. ત્યારે પરિણામે, મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. જાન્યુઆરીથી ઓક્ટોબર-૨૦૨૫ દરમિયાન કરમસદ-આણંદ મહાનગર વિસ્તારમાં મેલેરિયાના કુલ કેસ માત્ર બે નોંધાયા છે. જ્યારે વર્ષ ૨૦૨૪માં તે આંકડો ૮ હતો. ડેન્ગ્યુના કેસો ૨૦૨૪માં ૬૬ હતા, જે ચાલુ વર્ષ ૨૦૨૫માં ઘટીને ૩૨ થયા છે. આરોગ્યની ટીમે વિવિધ સંસ્થાઓ શિક્ષણ સંસ્થાઓ, ધામક સ્થળો, કન્સ્ટ્રક્શન સાઈટ્સ, મૂવી થિયેટર્સ અને શોપિંગ સેન્ટર્સની મુલાકાત વખતે મચ્છર ઉત્પત્તિ સ્થાનો (પોરા) જોવા મળતાં સંસ્થાઓને નોટિસ આપીને નિયમોનું ઉલ્લંઘન કરનાર સંસ્થાઓ પાસેથી રૂા. ૩,૪૮,૬૦૦ દંડની રકમ વસૂલ કરાઈ છે.


