વડોદરામાં આજે અષાઢીબીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે,3000 પોલીસ તૈનાત
વડોદરાઃ આવતીકાલે અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર હોવાથી તેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આજે બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ મારફતે પણ તમામ રૃટ પર ચેકિંગ કરાવી બંદોબસ્તનું રીહર્સલ કર્યું હતું.
ઇસ્કોનના ઉપક્રમે આવતીકાલે તા.૨૭મીએ નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય અને હજારો દર્શનાર્થીઓ તેનો લાભ લઇ શકે તે હેતુથી શહેર પોલીસ કમિશનર દ્વારા આજે બંદોબસ્તને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
આજે રીહર્સલના ભાગરૃપે પોલીસે તમામ રૃટનું નિરીક્ષણ કર્યું હતું.આવતીકાલે ૩૦૦૦થી વધુ પોલીસ બંદોબસ્તમાં જોડાશે. જેમાં એસઆરપીની ત્રણ કંપનીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત પોલીસ અને કોર્પોરેશનના સીસીટીવી કેમેરાની સાથે સાથે ૭૦ બોડીવોર્ન કેમેરાની મદદ લેવામાં આવી છે.જ્યારે,રોડ જોઇ શકાતો હોય તેવા ખાનગી દુકાનોના કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે.પોલીસ કમિશનરે આજે રૃટ પરના હાઇરાઇઝ પોઇન્ટ,ડીપ પોઇન્ટ તેમજ ટ્રાફિક ડાયવર્ઝનને લગતી બાબતોની વિગતો મેળવી હતી.