Get The App

જામનગરના ધ્રોલમાં પલટી ખાઈ જતાં કારનો કચ્ચરઘાણ, 3નાં ઘટનાસ્થળે જ મોત, 2 ગંભીર

Updated: Jan 16th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરના ધ્રોલમાં પલટી ખાઈ જતાં કારનો કચ્ચરઘાણ, 3નાં ઘટનાસ્થળે જ મોત, 2 ગંભીર 1 - image

Accident Near Dhrol  : જામનગરના ધ્રોલ નજીક આવેલા લતીપુર અને ગોકુળપુર ગામની વચ્ચે બુધવારે મોડી રાત્રે એક કારને ગંભીર અકસ્માત નડ્યો હતો. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ગુલાંટી મારી ગઇ હતી. કારમાં સવાર પાંચ લોકોમાંથી 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

હાલમાં મળતી માહિતી અનુસાર પાંચ મિત્રો કાર લઇને લતીપુરમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. જ્યાં દાંડિયા રાસના કાર્યક્રમ બાદ નાસ્તો કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે  ધ્રોલના લતીપુર અને ગોકુળપુર વચ્ચે બુધવારે મોડી રાત્રે કાર પલટી ખાઇ ગઇ હતી. કારમાં 5 લોકો સવાર હતા, જેમાંથી ઋષિ પટેલ (રહે. લતીપુર), ધમેન્દ્રસિંહ ઝાલા (રહે. જામનગર) અને વિવેક પરમાર (રહે. જામનગર)નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

કારનો ખુડદો વળી જતાં પતરાં ચીરી મૃતદેહો બહાર કાઢ્યા

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર પલટી ખાઇને રોડની સાઇડમાં ખાડામાં ખાબકી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો ખુડદો વળી ગયો હતો, જેથી મૃતદેહોને બહાર કાઢવા માટે કારના પતરાં ચીરવા પડ્યા હતા.