Gujarat

જુગારધામ પરથી 3 શખ્સો રોકડ સાથે ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

By GS TEAM
25 Mar 20262 mins read
જુગારધામ પરથી 3 શખ્સો રોકડ સાથે ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

- વડતાલ રેલવે સ્ટેશન પાસે પોલીસનો 'નામપૂરતો' દરોડો

- જુગારધામ ચલાવતો શખ્સ ક્યારેય પોલીસ રેઈડમાં ઝડપાતો નથી, જેથી પોલીસની કામગીરી ઉપર શંકા 

નડિયાદ : ખેડા જિલ્લાના વડતાલમાં ધર્મસ્થાનથી ૨૦૦ મીટરમાં જ રેલવે સ્ટેશન પાસે વર્ષોથી ભીખા નામનો શખ્સ જુગારનો અડ્ડો ચલાવે છે, તેવી સ્થાનિકોમાં ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ આજદીન સુધી વડતાલ પોલીસ રેઈડમાં આ તેની અટકાયત કરી શકી નથી. લાખો રૂપિયાનો દૈનિક જુગાર રમાતો હોવા થતાં માત્ર કાર્યવાહી કરી હોવાના કાગળો ઉભી કરવા માટે ૨-૪ જુગારીઓ અને નજીવી રકમ પકડતી હોવાની બૂમ ઉઠી છે. ગતરોજ પણ રેઈડ કરી ૧૫ હજારની મત્તા સાથે ૩ જુગારીઓની અટકાયત માત્ર બતાવી છે.

વડતાલના એક જાણીતા ધર્મસ્થાન અને પોલીસ ચોકીથી માંડ ૨૦૦ મીટરના અંતરે ભીખો પરમાર નામનો શખ્સ મોટાપાયે જુગારધામ ચલાવે છે, તેવી સ્થાનિકોમાં ચર્ચાઓ થઈ રહી છે. ચર્ચાઓ મુજબ, ભીખો મણીભાઈ પરમાર વર્ષોેથી અહીં અડ્ડો જમાવી બેઠો છે. જો કે, પોલીસ જ્યારે પણ કાર્યવાહી કરે છે, ત્યારે આ ભીખાની અટકાયત તો થઈ જ ન શકતી હોવાનું સ્થાનિકો અને બુદ્ધિજીવી વર્ગમાં ચર્ચાઈ રહ્યું છે. પોલીસ જાણીબુઝીને માત્ર વડી કચેરીઓમાં કાર્યવાહીની નોંધ કરાવવા માટે ભીખાના જુગારધામ પર દરોડો કરી નજીવી રકમ અને ત્રણ-ચાર જુગારીઓની અટકાયત બતાવતી હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે, ભીખો અત્રે ખૂબ મોટા પાયે દૈનિક લાખો રૂપિયાનું જુગારધામ ચલાવી રહ્યો છે. આ વચ્ચે વડતાલ પોલીસે બાતમીના આધારે અત્રે રેઈડ કરી હતી અને ત્રણ શખ્સોને ઝડપ્યા હતા. આ શખ્સોમાં સલીમભાઇ ઉર્ફે ચણી અલાદ, દેવચંદભાઈ નાઈ અને સુરેશભાઈ પરમારનો સમાવેશ થાય છે. આ શખ્સોની અંગજડતી કરતા તેમની પાસેથી કલ્યાણ મટકાના આંકડા લખેલી બુક અને રોકડ રકમ મળી આવી હતી. પોલીસ પૂછપરછમાં પકડાયેલા સલીમભાઇ અલાદ નાઓએ કબૂલાત કરી હતી કે, તેઓ ખેતર માલિક ભીખાભાઈ મણીભાઈ પરમારના કહેવાથી આંકડા લખતા હતા. આ કામ પેટે તેમને દરરોજના ૩૦૦ લેખે પગાર આપવામાં આવતો હતો. જોકે પોલીસ રેઇડ દરમિયાન મુખ્ય સૂત્રધાર ભીખાભાઈ પરમાર સ્થળ પર હાજર મળી આવ્યો ન હોવાનું પોલીસે ફરિયાદમાં દર્શાવ્યું છે. પોલીસે પકડાયેલા ત્રણેય શખ્સોની અટકાયત કરી છે. ત્યારે પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે