જામનગર તાલુકાના લાખા બાવળની સરકારી ગૌચરની જમીન પચાવી પાડનારા ત્રણ શખ્સોની લેન્ડગ્રેબીંગના ગુન્હામાં અટકાયત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Land Grabbing : જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં આવેલી સરકારી ખરાબાની સર્વે નંબર 323 તથા 326 વાળી ગૌચરની જમીનનો ગેરકાયદેસર કબજો મેળવી લઈ તે જમીનના પ્લોટ પાડી વેચી નાખી આર્થિક ફાયદો મેળવી લેનારા જામનગરના ત્રણ શખ્સો હરેશ લક્ષ્મીદાસ સોની, પ્રવીણ હસમુખભાઈ ખરા, અને દિનેશભાઈ ચરણદાસ પરમાર સામે પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ અંગે ગુનો નોંધાયો હતો, જે ત્રણેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે.
આ પ્રકરણમાં જામનગર ગ્રામ્યની મામલતદારની કચેરીના સર્કલ ઓફિસર રાજભદ્રસિંહ ભરતસિંહ રાણા જાતે ફરિયાદી બન્યા હતા, અને પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ ગત 15-1-2020 થી આજ દિવસ સુધીમાં લાખાબાવળ ગામમાં આવેલી સર્વે નંબર 323 તથા 326 ની જમીન, કે જે સરકારી ખરાબાની જમીન છે, તેમ જાણવા છતાં આ જમીનના બોગસ કાગળો તૈયાર કરાવી લીધા હતા, અને પોતાની જમીન દર્શાવી તેના પ્લોટ પાડી નાખ્યા હતા, અને આર્થિક લાભ મેળવવા માટેનું કાવતરું ઘડ્યું હતું.
લાલપુરના આઇપીએસ અધિકારી પ્રતિભા દ્વારા આ સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી હતી, અને ત્રણેય આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવાઇ હતી. જેમાં તેઓએ જમીનના ગેરકાયદા 160 જેટલા પ્લોટ પાડી દીધા હોવાનું અને જામનગર સહિતના અલગ અલગ આસામીઓને તે જમીન વેચી મારી હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી જેમાં 70 આસામી પોલીસ પાસે આવી ચૂક્યા છે, અને પોતાનું નિવેદન નોંધાવ્યું છે. આ તકે આઇપીએસ અધિકાર દ્વારા જામનગર શહેર જિલ્લાની જનતાને અનુરોધ કરાયો છે કે ઉપરોક્ત લાખાબાવળ વાળી સરકારી ગૌચરની જમીન કે જેનો કોઈ સાથે ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ સોદો કર્યો હોય, તો તેઓએ પોલીસ સમક્ષ આવીને સહયોગ આપવા અનુરોધ કર્યો છે.
પોલીસ દ્વારા આ મામલામાં ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020 ની કલમ 4(3), 5(ક), 5(ગ) મુજબ ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.








