અમદાવાદથી જઇ રહેલા પરિવારને ભાવનગર નજીક નડ્યો અકસ્માત, 3 સભ્યોના કરુણ મોત
Bhavnagar Road Accident: ભાવનગર - વલ્લભીપુર તાલુકાના કાનપર ગામ નજીક ગુરૂવારે કાર અને આઈસર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના કમકમાટી ભર્યા મોત થયાં છે. અલગ-અલગ બે કારમાં એક પરિવારના પાંચ સભ્યો અમદાવાદથી બાબરા આવી રહ્યાં હતા, ત્યારે એક કારને અકસ્માત નડયો હતો અને તેમાં સવાર ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. બનાવ અંગે વલ્લભીપુર પોલીસ મથકમાં આઈસર વાહનના ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
બનાવની મળતી વિગતો પ્રમાણે મુળ લાઠી તાલુકાના મતિરાળા ગામના વતની છેલ્લા ઘણાં સમયથી બાબરા ખાતે રહેતા ભુપતભાઈ રામજીભાઈ બોરસાણીયા ગુરૂવારે તેમના પૌત્ર જયભાઈ, એકતાબેન સાથે જીજે-06-પીડી-0925 નંબરની કારમાં તથા અન્ય એક કારમાં ધ્રુવભાઈ તથા તેમના પત્નિ દ્રષ્ટિબેન અમદાવાદથી બાબરા ખાતે આવી રહ્યાં હતા. ત્યારે વલ્લભીપુર તાલુકાના કાનપર ગામ પહેલા આવતા નાળા પાસે વલ્લભીપુર તરફથી આવી રહેલા આઈસર વાહને તેમની કાર સાથે અકસ્માત સર્જતા કારમાં સવાર જયભાઈ, એકતાબેન તથા ભુપતભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
જેમને ઈમરજન્સી 108 મારફત સારવાર અર્થે વલ્લભીપુર સરકારી દવાખાને ખસેડવા આવ્યા હતા. જ્યાં ભુપતભાઈ શામજીભાઈ બોરસણીયા (ઉ.વ.80)ને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાં હતા. જ્યારે જયભાઈ તથા એકતાબેનને પ્રાથમિક સારવાર આપી ભાવનગર રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં જયભાઈ (ઉ.વ.30) તથા એકતાબેન (ઉ.વ.28)નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે હરેશભાઈ રવજીભાઈ બોરસાણીયા (રહે.બાબરા, જી.અમરેલી)એ વલ્લભીપુર પોલીસ મથકમાં જીજે-34-ટી-1764 નંબરના આઈસર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મોતને ભેટેલા ગર્ભવતી મહિલા સીમંત માટે વતન જઇ રહ્યા હતા
મળતી વિગતો અનુસાર મૃતક દંપતિ જયભાઈ તથા એકતાબેનના ચાર વર્ષ પૂર્વે લગ્ન થયાં હતા અને અમદાવાદ ખાતે રહેતા હતા. એકતાબેન ગર્ભવતી હતા અને આગામી 7મી મેના રોજ તેમનું સીમંત હોવાથી વતન બાબરા ખાતે જઇ રહ્યાં હતા.