કોડીનાર- સોમનાથ હાઈ-વે પર ગમખ્વાર અકસ્માત : ટ્રકનાં ટાયરમાં પંક્ચર પડતાં ડ્રાઈવર, ક્લીનર તથા મદદે આવેલા અન્ય ટ્રકના ડ્રાઈવર ટાયર બદલાવતા હતા ત્યારે ધડાકાભેર બોલેરો અથડાઈ
કોડીનાર, : કોડીનાર-સોમનાથ નેશનલ હાઈવે પર પ્રાંસલી ગામ નજીક ગત મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં માછલી ભરેલો એક ટ્રક અને બોલેરો પિકઅપ વચ્ચેના અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના કરૂણ મૃત્યુ થયા છે, જયારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે.
બનાવની પ્રાપ્ત માહિતી મુજબ વેરાવળ જઈ રહેલો માછલી ભરેલો આઈશર ટ્રકના ટાયરમાં પંકચર થતાં તે કોડીનાર- સોમનાથ નેશનલ હાઈવે પર પ્રાંસલી ગામ પાસે બંધ હાલતમાં ઉભો હતો. આઈશરના ડ્રાઈવર હુસેનભાઈ મહમદભાઈ મલેક (રહે. વેરાવળ), કલીનર ગોપાલભાઈ અને મદદ કરવા માટે આવેલા અન્ય ટ્રક ચાલક રફિકભાઈ ચાંદભાઈ ભાદરકા ત્રણેય વ્યક્તિઓ ટાયર બદલવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી અન્ય માછલી ભરેલી બોલેરો પિકઅપ વાન બંધ પડેલા ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી.
આ કરૂણ અકસ્માતમાં ટાયર બદલી રહેલા હુસેનભાઈ મહમદભાઈ મલેક અને બોલેરોના ચાલક રાજુભાઈ બાલુભાઈ પરમાર (રહે. નાથળ, તા. ઉના)નું મૃત્યુ નીપજયું હતું. જયારે હુસેનભાઈની મદદમાં રહેલા રફિકભાઈ ચાંદભાઈ ભાદરકા અને ટ્રકના કલીનર ગોપાલભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વેરાવળની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન રફિકભાઈ ચાંદભાઈ ભાદરકાનું પણ મૃત્યુ થતાં આ અકસ્માતમાં મૃત્યુઆંક ત્રણનો થયો છે. આઈશરના કલીનર ગોપાલભાઈ હાલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં જ સુત્રાપાડા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


