કારમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને મહામહેનતે બહાર કાઢી હોસ્પિટલે ખસેડવા પડયા
ગમખ્વાર અકસ્માતમાં મોરબીના યુવાનનું અને માળિયા પંથકની બે મહિલાના મૃત્યુ; અકસ્માતનું કારણ જાણવા હાથ ધરાતી તપાસ
પ્રાપ્ત વિગતો અનુસાર, આજે બુધવારે સાંજે અંદાજે પાંચ વાગ્યાના અરસામાં મોરબી તરફથી ધ્રોલ તરફ આવી રહેલી અટકા કાર અને જામનગર તરફ જઈ રહેલી બ્લેક કલરની બલેનો કાર વચ્ચે લતીપર હાઇવે રોડ પર સામસામે ધડાકાભેર અથડાઈ થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું અને તેમાં સવાર મુસાફરો વાહનોમાં ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકો અને ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ઇજાગ્રસ્તોને બહાર કાઢયા હતા. અકસ્માતમાં કુલ ૭ લોકો અસરગ્રસ્ત બન્યા હતા, જેમાંથી ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળેજ અંતરિયાળ મૃત્યુ નિપજ્યા હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. જ્યારે અન્ય ૪ લોકોને ઇજાઓ થતાં તેમને પ્રથમ ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ચારેય ઇજાગ્રસ્તોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
બનાવમાં ભોગ બનેલા બલેનો કારમાં સવાર મોરબીના લાભનગર સોસાયટીના વતની કાનજી રવજીભાઈ વાઘાણી (૨૮)નું મૃત્યુ નીપજ્યું હતું, જે મૂળ માળિયા તાલુકાના દેવગઢના વતની છે, જ્યારે સામે આવી રહેલી અટગા કારમાં સવાર બે મહિલાઓના મૃત્યુ થયા હતા. જેમાં એક મહિલાનું નામ પૂજાબેન તેજસભાઈ અપારનાથી (ઉં.૨૪, રે. ચાસલાણા ગામ, તાલુકો કલ્યાણપુર) તેમજ પૂજાબેન ઉર્ફે જાગુબેન રામગર અપારનાથી (ઉં.૩૬) જેઓ પણ ચાસલાણાના વતની હોવાનું જાણવા મળ્યું છે. જે ત્રણેયના મૃતદેહો નું ધ્રોળની સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું છે.
અકસ્માતની જાણ થતાં ધ્રોલ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે તેમજ ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી અકસ્માતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.


