ડોલરના બંડલ વચ્ચે ભારતીય કરન્સીની 100 રૂપિયાની નોટો પધરાવી લાખોની ઠગાઈમાં ટોળકીના ત્રણ ઝબ્બે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : લોન કન્સલ્ટન્સીનું નવસારીમાં કામકાજ કરતા હરસિધ્ધિ ફાઇનાન્સ સંચાલકને સસ્તા ભાવે વિદેશી ચલણ ડોલર આપવા 100ના બંડલમાં ઉપર-નીચે 100 ડોલરની ચલણી નોટો રાખીને વચ્ચે બાકીની માત્ર 1 ડોલરની નોટો રાખીને રૂ.4.50 લાખની ઠગાઈ કરનાર ટોળકીના ત્રણ આરોપીઓને ગોઠવાયેલા છટકા મુજબ નંદેસરી પોલીસે અલ્ટો કાર સાથે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે નવસારીના ધરમપુર ખાતે રહેતા પાર્થ જયસિંહ પરમાર (ઉં. 27) હરસિધ્ધિ ફાઇનાન્સના નામે લોન કન્સલ્ટન્સી ચલાવે છે. ગત ફેબ્રુઆરીમાં લોન કન્સલ્ટન્ટ તેની ઓફિસમાં હતો ત્યારે મોબાઈલ પર મેસેજ આવ્યો હતો જેમાં યુએસ ચલણના ડોલર વેચાણ કરી આપવા બાબતે વાતચીત કરી હતી. જેમાં 100 ડોલરની બે નોટનો સોદો નક્કી કર્યો હતો. જેથી ફેબ્રુઆરી માસના 10 દિવસ બાદ તા.13મીએ તારાપુર ચોકડી નજીક પીપળાવ ગામ પાસે મંદિર નજીક ગોઠવાયેલી મુલાકાતમાં 100 ડોલરની બે નોટની અવેજીમાં રૂપિયા 10000 રોકડા ચૂકવી દીધા હતા.
ત્યારબાદ ફરીવાર 100 ડોલરનું બંડલ જેમાં 100 નોટ છે તે અંગે અવેજીમાં રૂપિયા 4.50 લાખ આપવાનું નક્કી થયું હતું. જેથી લોન કન્સલ્ટન્ટ અને તેના બે મિત્રો સાથે નિયત સ્થળે પીપળાવ ગામે નક્કી થયેલી જગ્યાએ જઈને કાળા રંગના પ્લાસ્ટિકની થેલીમાં ડોલરનું 100નું બંડલ આપીને બીજા હાથે લોન કન્સલ્ટન્ટે રૂપિયા 4.50 લાખ રોકડા ચૂકવ્યા હતા. નાણા લઈને ગઠિયો ઝાડી ઝાખરામાં નીકળી ગયો હતો. પરંતુ નોન કન્સલ્ટન્ટે તપાસ કરતા 100 ડોલરના બંડલમાં ઉપર નીચે 100 ડોલરની નોટો હતી. જ્યારે વચ્ચેની પ્રત્યેક નોટ માત્ર એક ડોલર જણાઈ હતી. પરિણામે લોન કન્સલ્ટન્ટને પોતાની સાથે ઠગાઈ થયાનો અહેસાસ થયો હતો.
દરમિયાન ગઈ તા.28મીએ આજ ગઠીયાનો ફરી એક વખત મોબાઈલ પર મેસેજ આવ્યો હતો. અને ડોલર સસ્તા ભાવે વેચાણ કરવાનું બહાનું બતાવ્યું હતું. જેમાં 100 ડોલરની માત્ર બે નોટ હોવાનો ગઠિયાએ કહ્યું હતું. જેથી લોન કન્સલ્ટન્ટ તેના બે મિત્રો સાથે નિયત કરેલી જગ્યાએ સાકરદા ગામ પાસે ગઠીયા સાથે મુલાકાત થઈ હતી. જોકે લોન કન્સલ્ટન્ટ મિત્રો અને નંદેસરી પોલીસ સ્ટેશનના કર્મીઓ સાથે સાદા ડ્રેસમાં સાકરદા ગામ નજીક પહોંચ્યા હતા. જ્યાં અગાઉથી ગોઠવેલા છટકા મુજબ પોલીસે ડોલર વેચાણના બહાને અગાઉ ઠગાઈ કરનાર ટોળકીને દબોચી લીધી હતી.
પોલીસે ટોળકીના અમિત ગોવિંદ તળપદા, જીગ્નેશ કિરીટ તળપદા અને મુકેશ કનુભાઈ તળપદાની અટકાયત કરીને નંદેસરી પોલીસ મથકે ત્રણેયને લઈ આવ્યા હતા જ્યાં તમામની પૂછપરછ કરીને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.








