Gujarat

રાજકોટમાં 3 કરોડની એમ્બરગ્રીસ સાથે સુરેન્દ્રનગરનાં 3 ઝડપાયા

By GS TEAM
6 Nov 20252 mins read
રાજકોટમાં 3 કરોડની એમ્બરગ્રીસ સાથે સુરેન્દ્રનગરનાં 3 ઝડપાયા

અગાઉ 50 લાખનું એમ્બરગ્રીસ પકડાયું હતું : બીજા કેસમાં પણ બાબરાનાં શખ્સોની સંડોવણી ખૂલીઃ આગળની તપાસ વન વિભાગને સોંપી દેવાઈ

રાજકોટ, : રાજકોટનાં શાસ્ત્રી મેદાન પાસેથી એસઓજીએ વ્હેલ માછલીની ઉલ્ટી એટલે કે 3 કિલો એમ્બરગ્રીસ સાથે સુરેન્દ્રનગરમાં રહેતાં નરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.વ. 52), આશિષ સુરેશભાઈ ભટ્ટ (ઉ.વ. 48) અને સુરેન્દ્રનનગરમાં રતનપર ગામે રહેતાં પરેશ ચંદ્રકાન્તભાઈ શાહ (ઉ.વ. 66)ને ઝડપી લીધા હતાં. 

SOGના PI સંજયસિંહ જાડેજા અને પીએસઆઈ ઘાસુરાએ મળેલી બાતમીનાં આધારે અલ્ટો કારમાં સવાર ત્રણેય આરોપીઓને ઝડપી લઈ તેની પાસેથી 2.963 કિલોગ્રામ એમ્બરગ્રીસનો જથ્થો કબ્જે કર્યો હતો. એમ્બરગ્રીસનો 1 કિલોનો ભાવ રૂા 1 કરોડ આસપાસ હોય છે, જે જોતાં રૂા 2.96 કરોડનું એમ્બરગ્રીસ, 4 મોબાઈલ ફોન અને કાર સહિત કુલ રૂા.2.97 કરોડનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

એસઓજીએ આ ત્રણેય આરોપીઓનો કબ્જો વન વિભાગને સોંપી દીધો છે, જે હવે આગળની તપાસ કરશે. થોડા સમય પહેલા પણ એસઓજીએ આજીડેમ ચોકડી પાસેથી ૫૦૦ ગ્રામ એમ્બરગ્રીસનાં જથ્થા સાથે બાબરાનાં કરિયાણાનાં વિરમ બાવળીયાને ઝડપી લીધો હતો. તેને શિહોરનાં જીતુ સુવાળીયાએ આ એમ્બરગ્રીસ વેંચવા માટે આપ્યું હતું. 

રાજકોટમાં એમ્બરગ્રીસનો બીજો કેસ થયો છે. જેમાં ફરીથી બાબરા પંથકનાં શખ્સોની સંડોવણી ખૂલી છે. મુખ્યત્વે સુગંધિત સૌંદર્ય પ્રસાધનો બનાવવા માટે એમ્બરગ્રીસનો ઉપયોગ થાય છે. વાઈલ્ડ લાઈફ એક્ટ મુજબ એમ્બરગ્રીસની હેરાફેરી, વેંચાણ કે સંગ્રહ થઈ શકતો નથી. આ કેસમાં ત્રણથી લઈ સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.

આરોપીઓમાં એક નિવૃત્ત ફોટોગ્રાફર, બીજો નોકરિયાત, ત્રીજો ખાનગી બેંકનો કર્મચારી

SOGની તપાસમાં એવું ખુલ્યું હતું કે, ત્રણેય આરોપીઓમાં નરેન્દ્રસિંહ પ્રાઈવેટ નોકરી કરે છે. પરેશભાઈ અગાઉ ફોટોગ્રાફર હતાં. હાલ નિવૃત્ત જીવન વ્યતિત કરે છે. જયારે આશિષ આસીઆઈસીઆઈ બેન્કમાં નોકરી કરે છે. ત્રણેય આરોપીઓ એકબીજાનાં પરિચિત છે.