Gujarat

વઢવાણમાં નવા દરવાજા બહાર વ્યક્તિ પર 3 નો જીવલેણ હુમલો

By GS TEAM
29 Jun 20251 min read
વઢવાણમાં નવા દરવાજા બહાર વ્યક્તિ પર 3 નો જીવલેણ હુમલો

- આરોપીઓએ ધમકી આપતા 3 શખ્સ સામે ફરિયાદ

- પિતા અને બે પુત્રએ કાચની બોટલ અને હથોડીના ઘા ઝીંકી માથાના ભાગે ઈજાઓ પહોંચાડી

સુરેન્દ્રનગર : વઢવાણ નવા દરવાજા બહાર વણકરવાસમાં એક શખ્સને પ્રેમસબંધ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનું મનદુઃખ રાખી કાચની બોટલ, હથોડી વડે મારમારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે અંગે ભોગ બનનાર શખ્સે ત્રણ વ્યક્તિ સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

વઢવાણ નવા દરવાજા બહાર વાડી પ્લોટ વિસ્તારમાં રહેતા અમીતભાઈ ઉર્ફે રોબટ શાંતિલાલ મકવાણાના મિત્ર અશ્વીનભાઈ જોષી (રહે.વઢવાણ)ની દિકરીની બહેનપણીને તેમના વિસ્તારમાં રહેતા રવિભાઈ પરમાર સાથે પ્રેમસબંધ બાબતે અશ્વીનભાઈ તેમજ રવિને બોલાચાલી થઈ હતી. દરમિયાન અમીતભાઈ અને અશ્વીનભાઈ સાથે હતા ત્યારે અગાઉના ઝઘડાનું  મનદુઃખ રાખી રવિભાઈ મોહનભાઈ પરમાર તેના ભાઈ જયેશભાઈ મોહનભાઈ પરમાર અને તેમના પિતા મોહનભાઈ તેજાભાઈ પરમાર ત્રણેયે એકસંપ થઈ ફરિયાદી સાથે અમિતભાઇ સાથે બોલાચાલી કરી હતી. એટલું જ નહીં ત્રણેય શખ્સોએ ગાળો આપી કાચની બોટલ અમિતભાઇના માથામાં મારી ઈજાઓ પહોંચાડી હતી તેમજ હથોડીના ઘા પણ માથાના ભાગે મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

જે અમિતભાઇએ ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.