Gujarat

ખંભાતના પીએસઆઈના 3 દિવસના રિમાન્ડ મંજૂર

By GS TEAM
13 Sep 20251 min read
ખંભાતના પીએસઆઈના 3 દિવસના રિમાન્ડ મંજૂર

- 3 લાખની લાંચ કેસમાં આરોપી

- એસીબી પોલીસ મથકે હાજર થતા પીએસઆઈ પી.ડી. રાઠોડની ધરપકડ કરી કાર્યવાહી

આણંદ : ગૌ માસના ગુનામાં આરોપી તરીકે નહીં બતાવવા તેમજ પરિવારજનોનો વરઘોડો નહીં કાઢવા બાબતે રૂા. ૩ લાખની લાંચ માગનારા ખંભાતના પીએસઆઇના કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ગૌ માસના કેસમાં પકડાયેલા આરોપીના મોબાઈલની તપાસ કરતા ખંભાતના લાલ દરવાજા વિસ્તારના યુવકનો નંબર મળ્યો હતો. હોટલ ચલાવતા યુવકને આરોપી તરીકે નહીં બતાવવા તેમજ પરિવારના સભ્યોનો વરઘોડો નહીં કાઢવા માટે ખંતાતના પીએસઆઇ પી.ડી. રાઠોડે પોતાના વહીવટદાર મોહમ્મદ ઇમરાન સોદાગર મારફતે લાંચની માંગણી કરી હતી. આણંદ એસીબીએ છટકું ગોઠવી પીએસઆઇ વતી લાંચ લેનારા મોહમ્મદ ઇમરાનને ઝડપી પાડયો હતો. જોકે, પીએસઆઇ પી.ડી. રાઠોડ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ધરપકડથી બચવા માટે પીએસઆઇએ આગોતરા જામીન અરજી મૂકી હતી. જે કોર્ટે નામંજૂર કરતા પીએસઆઇ પી.ડી. રાઠોડ એસીબી પોલીસ મથકે હાજર થતા પોલીસે તેઓની વિધિવત ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.