Get The App

રાજકોટમાં 3.2નો ધરતીકંપ, મવડી-વાવડી પાસે કેન્દ્રબિંદુ

Updated: Mar 25th, 2026

GS TEAM

Google News
Google News
રાજકોટમાં 3.2નો ધરતીકંપ, મવડી-વાવડી પાસે કેન્દ્રબિંદુ 1 - image

અમરેલી અને મહુવા પંથકમાં પણ ફરી તીવ્ર ભૂકંપો

ચાલુ માસમાં ગુજરાતમાં 12 પૈકી 8 ભૂકંપો સૌરાષ્ટ્રમાં : જૂલાઈ-2020માં રાજકોટ નજીક અમદાવાદ રોડ પર ૪.૮ના તીવ્ર ભૂકંપ બાદ નવો ફોલ્ટ સક્રિય

રાજકોટ: પ્રથમવાર રાજકોટ મહાનગરમાં આજે ૩.૨ની તીવ્રતાનો ભૂકંપ સાંજે ૫-૪૧ વાગ્યે નોંધાયો છે.જો કે જાનમાલના નુક્શાનના કોઈ અહેવાલો નથી પરંતુ,આ ભૂકંપનું કેન્દ્રબિંદુ વોર્ડ નં.૧૧ના આસપાસના વિસ્તાર વાવડી પાસે પુનિતનગર અને મવડી મેઈનરોડ વચ્ચે આદર્શ એક્ઝોટીકા બિલ્ડીંગ પાસે જમીનની ૧૫ કિ.મી.નીચે ૨૨.૨૩૫ ડીગ્રી અક્ષાંસ અને ૭૦.૭૮૨ ડીગ્રી રેખાંશ ઉપર કેન્દ્રબિંદુ નોંધાયું છે. આ સાથે ગત ચાર દિવસમાં અમરેલી અને  મહુવા પંથકમાં પણ બે તીવ્ર ભૂકંપોના પગલે સૌરાષ્ટ્રના પેટાળમાં ધરતીમાં જબ્બર હીલચાલના એંધાણ મળ્યા છે.

સૌરાષ્ટ્રમાંઅતિશય-અસામાન્ય માવઠાં પછી અસામાન્ય ભૂકંપો શરુ થયા છે. ચાલુ માર્ચ માસમાં આજ સુધીના ૨૪ દિવસમાં અસંખ્ય ભૂકંપોમાં ૨.૫થી વધુ મેગ્નિટયુડના ૧૨ ભૂકંપો નોંધાયા છે તેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૮ તથા કચ્છમાં ૨ અને ગુજરાતમાં દાહોદ,વાંસદામાં ૨ ભૂકંપો સમાવિષ્ટ છે. આમ, સૌરાષ્ટ્રમાં કચ્છથી વધુ ભૂકંપીય ગતિવિધિમાં વધારો જોવા મળ્યો છે. 

ભૂતકાળમાં રાજકોટના ગોંડલરોડ પર શાપરવેરાવળ,ગોંડલ પાસે ભૂકંપના આંચકા આવતા રહ્યા છે, તા.૧૬ જૂલાઈ ૨૦૨૦ના રાજકોટના અમદાવાદ (કુવાડવા રોડ) પર ૪.૮નો તીવ્ર ધરતીકંપ આવ્યો હતો જે ગુજરાતમાં ઈ.સ.૨૦૧૯ પછી ભચાઉમાં ૫.૩ પછી રાજ્યનો બીજા નંબરનો સૌથી મોટો ભૂકંપ હતો. 

રાજકોટ ઉપરાંત અમરેલીથી ૪૪ કિ.મી. દક્ષિણે ઈંગરોળા અને નાના વિસાવદર ગામ પાસે ગત રવિવાર તા.૨૨-૩-૨૦૨૬ના  ૨.૯ મેગ્નીટયુડનો ધરતીકંપ જમીનમાં માત્ર ૬.૬ કિ.મી.ની ઉપરી સપાટીએ ઉદભવ્યો હતો તો તેના બે દિવસ પૂર્વે તા.૨૦-૩-૨૦૨૬ના મહુવાથી ૩૦ કિ.મી. ઉત્તર-પશ્ચિમ દિશાએ કરજાળા ગામ પાસે ૩.૦ના ભૂકંપથી ધરતી ધુ્રજી ઉઠી હતી.

સૌરાષ્ટ્રમાં ચાલુ માસમાં આવેલા ભૂકંપ

ક્રમ

તારીખ

મેગ્નિટયુડ

લોકેશન

૧.

૨-૩-૨૬

૨.૯

તાલાલાથી ૫૫ કિમી, સોમનાથ પાસે દરિયામાં

૨.

૫-૩-૨૬

૩.૪

બોટાદથી ૨૮ કિ.મી. દક્ષિણ-પશ્ચિમ

૩.

૭-૩-૨૬

૨.૫

અમરેલી જિલ્લાના ધારી પછી સરસીયા પાસે

૪.

૧૨-૩-૨૬

૩.૧

મહુવાથી ૨૩ કિ.મી.ઉત્તર-પશ્ચિમે

૫.

૧૨-૩-૨૬

૨.૫

તાલાલાથી ૧૧ કિ.મી. ઉત્તર-પૂર્વ દિશાએ

૬.

૨૦-૩-૨૬

૩.૦

મહુવાથી ૩૦ કિ.મી.ઉત્તર-પશ્ચિમે

૭.

૨૨-૩-૨૬

૨.૯

અમરેલીથી ૪૪ કિ.મી. ઈંગરોળા પાસે

૮.

૨૪-૩-૨૬

૩.૨

રાજકોટ સેન્સરથી ૭ કિમી વાવડી પાસે.

 

નોંધઃ

(૧) આ તમામ ભૂકંપો જમીનમાં ૫થી ૧૫ કિ.મી.ઉંડાઈએ ઉદ્ભવ્યા છે.

(૨) તા.૧થી ૨૪ માર્ચ ૨૦૨૬ દરમિયાન આ ઉપરાંત કચ્છના દુધઈ પંથકમાં ૩.૩., ભચાઉ પંથકમાં ૩.૪, દાહોદ વિસ્તારમાં ૨.૫ અને વાંસદા પાસે ૨.૭ના ભૂકંપ નોંધાયા છે.

(૩) પાંચ વર્ષમાં સૌરાષ્ટ્રમાં માંગરોળ, રાજકોટ, તાલાલા, જામનગર, ઉપલેટા, ઉના પંથકમાં ૪.૦થી વધુ મેગ્નિટયુડના તીવ્ર ધરતીકંપો આવ્યા છે.