Get The App

આણંદમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ત્રીજા દિવસે 286 ફોર્મ ભરાયા

Updated: Jun 5th, 2025

GS TEAM


Google News
Google News
આણંદમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ત્રીજા દિવસે 286 ફોર્મ ભરાયા 1 - image


ઉમેદવારોનો રાફડો ફાટયો, જિલ્લાની કચેરીઓમાં ટોળાં

જિલ્લામાં અત્યાર સુધી 118 સરપંચ અને 237 સભ્યપદ માટે ઉમેદવારીપત્રો ભરાયા : દાખલા મેળવવા માટે દાવેદારોની દોડધામ

આણંદ: આણંદ જિલ્લામાં અઢી વર્ષ સુધી વહીવટદારના શાસનમાં ચાલતી ૧૫૯ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં હવે ગ્રામજનોએ સીધી લડાઈના હેતુથી ઉમેદવારીપત્રો ભરવાનું શરૂ કરી દીધું છે. ફોર્મ ભરવાના ત્રીજા દિવસે આણંદ જિલ્લામાં સરપંચ માટે ૯૧ અને સભ્યપદ માટે ૧૯૫ મળીને કુલ ૨૮૬ જેટલા ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળ્યું છે.

આણંદ જિલ્લામાં ૧૫૯ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૧૦૦ પેટા મળીને કુલ ૨૫૯ બેઠકો પર ચૂંટણીઓ તા. ૨૨મી જૂને યોજાવાની છે. ત્યારે આણંદ જિલ્લામાં ફોર્મ ભરવાના ત્રીજા દિવસે ગુરૂવારે ખૂબ ધસારો જોવા મળ્યો હતો. સાંજના સમય સુધીમાં બોરસદમાં સરપંચપદ માટે ૭ અને સભ્ય માટે ૭, પેટલાદમાં સરપંચ માટે ૨૬ અને સભ્યપદ માટે ૪૫, ખંભાતમાં સરપંચ માટે ૧૧ અને સભ્યપદ માટે ૨૫, સોજીત્રામાં સરપંચપદ માટે ૮ અને સભ્યપદ માટે ૧૮, ઉમરેઠમાં સરપંચ માટે ૧૧ અને સભ્યપદ માટે ૨૧, આણંદમાં સરપંચ માટે ૧૫ અને સભ્ય માટે ૬૨, આકલાવમાં સરપંચ માટે ૪ અને સભ્ય માટે ૧૦, તારાપુરમાં સરપંચ માટે ૮ અને સભ્ય માટે ૭ મળીને કુલ ૨૮૬ જેટલા ઉમેદવારીપત્ર ભરાયા હતા.

જાહેરનામું બહાર પાડયાથી આજ દિન સુધી સમગ્ર જિલ્લામાંથી સરપંચ માટે ૧૧૮ અને સભ્યપદ માટે કુલ ૨૩૭ જેટલા ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યા હતા. આણંદ જિલ્લાના પેટલાદમાં ૨૯ અને ખંભાતમાં ૨૩ જેટલા સરપંચના ફોર્મ જિલ્લા ભરમાં વધુ હોવાનું જણાયું હતું.  જાહેર થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બોરસદમાં ૨૩, આકલવામાં ૧૯, આણંદમાં ૧૭, પેટલાદમાં ૩૩, ઉમરેઠમાં ૧૨, સોજીત્રામાં ૧૬, ખંભાતમાં ૨૦ તથા તારાપુરમાં ૧૯ જેટલી ગ્રામ પંચાયતમાં ચૂંટણીઓ યોજાવાની છે.

- ફોર્મ વધુ ભરાતા સમરસનો પ્રયાસ નિષ્ફળ જવાનો ભાજપને ભય

આણંદ જિલ્લાના ભાજપના ધારાસભ્યો દ્વારા સમરસ ગ્રામ પંચાયત માટે એડી ચોટીનું જોર લગાવીને પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં પણ ઉમેદવારીપત્રો ભરવામાં વધી રહેલી સંખ્યાને કારણે ભાજપના ધારાસભ્યોનો પ્રયાસ કંઈક અંશે નિષ્ફળ જાય તેવું જણાઈ રહ્યું છે.

- ઉમેદવારીપત્ર ભરવાના હજૂ ચાર દિવસ બાકી

હાલ આણંદ જિલ્લાના તમામ મામલતદાર કચેરીઓ તથા અન્ય સરકારી કચેરીઓમાં જ્યાં ઉમેદવારીપત્રો ભરવાનું સ્થળ જાહેર કરાયું છે તેવા સ્થળે વહેલી સવારના ૧૦ વાગ્યાથી જ ઉમેદવારો અને તેમના સમર્થકોના ટોળેટોળા ઉમટી રહ્યા છે. હજુ ઉમેદવારીપત્ર ભરવાના ચાર દિવસ બાકી છે. 

Tags :