Gujarat

ઘાટલોડિયાની ઘટના બાદ AMC એક્શનમાં: અમદાવાદના 26 વિસ્તારો હાઈ-રિસ્ક જાહેર, નવા ખોદકામ પર રોક

By GS TEAM
4 Jun 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી ચૂંટાયેલી પાંખની પ્રથમ સાપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગુરુવારે દાણાપીઠ ખાતે યોજાઈ હતી. આ બેઠક બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને મીડિયા સાથેની વાતચીતમાં શહેરની આરોગ્ય સુરક્ષા, પ્રિ-મોન્સૂન કામગીરી અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને કેટલાક મહત્વના નિર્ણયોની જાહેરાત કરી હતી. તાજેતરમાં ઘાટલોડિયા વિસ્તારમાં સર્જાયેલી દૂષિત પાણીની ઘટનાને ગંભીરતાથી લઈને હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 26 જેટલા હાઈ-રિસ્ક વિસ્તારો પર ખાસ દેખરેખ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઘાટલોડિયાની ઘટના બાદ AMC એક્શનમાં: અમદાવાદના 26 વિસ્તારો હાઈ-રિસ્ક જાહેર, નવા ખોદકામ પર રોક

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી ચૂંટાયેલી પાંખની પ્રથમ સાપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગુરુવારે દાણાપીઠ ખાતે યોજાઈ હતી. આ બેઠક બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને મીડિયા સાથેની વાતચીતમાં શહેરની આરોગ્ય સુરક્ષા, પ્રિ-મોન્સૂન કામગીરી અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને કેટલાક મહત્વના નિર્ણયોની જાહેરાત કરી હતી. તાજેતરમાં ઘાટલોડિયા વિસ્તારમાં સર્જાયેલી દૂષિત પાણીની ઘટનાને ગંભીરતાથી લઈને હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 26 જેટલા હાઈ-રિસ્ક વિસ્તારો પર ખાસ દેખરેખ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઘાટલોડિયાની ઘટનામાં બેદરકારો સામે લેવાશે પગલાં

ઘાટલોડિયાની ઘટનાની વિગતો આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે, ત્યાં પાણીની લાઈનમાં બ્રેકડાઉન થયું હતું. સમારકામ દરમિયાન ધ્યાને આવ્યું કે નીચેની ડ્રેનેજ લાઈન ઉભરાતી હતી અને તે જ દૂષિત પાણી ટાંકામાં ભળી ગયું હતું. આ પાણી પીવાના કારણે સ્થાનિક લોકોની તબિયત બગડી હતી. જોકે, રાહતના સમાચાર એ છે કે હાલ માત્ર એક જ દર્દી ઓબ્ઝર્વેશન હેઠળ છે અને બાકીના તમામ લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. તેમણે ઉમેર્યું કે, ડ્રેનેજની કામગીરી તો અધિકારીઓએ પૂરી કરી લીધી હતી, પરંતુ દૂષિત પાણી પીવા યોગ્ય નથી તેવી જાણકારી સ્થાનિક લોકો સુધી પહોંચાડવામાં આવી નહોતી. આ મામલે જે પણ અધિકારી કે કર્મચારીની બેદરકારી સામે આવશે તેની વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે ફરિયાદોના આધારે તમામ સંવેદનશીલ જગ્યાઓ પર સ્ટાફ તૈનાત કરી દેવાયો છે.

15 જૂન સુધીમાં ખાડા પૂરવા સૂચના, નવા ખોદકામ પર પ્રતિબંધ

શહેરમાં આગામી 15 જૂનની આસપાસ ચોમાસું બેસે તેવી શક્યતાઓ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનરે તમામ અધિકારીઓને આગામી એક અઠવાડિયામાં જ શહેરના તમામ ખાડાઓ પૂરી દેવાની કડક સૂચના આપી છે. આ ઉપરાંત ચોમાસા દરમિયાન નાગરિકોને હાલાકી ન પડે તે માટે આજથી જ શહેરમાં નવા કોઈ પણ પ્રકારના ખોદકામને મંજૂરી ન આપવા માટે તાકીદ કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદ: બુલેટ ટ્રેનની કામગીરીને પગલે 5 જૂનની રાત્રે અનુપમ બ્રિજ બંધ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ

ટ્રાફિક અને દબાણ હટાવવા સવા કરોડના ખર્ચે ક્રેન ભાડે લેવાશે

અમદાવાદના રસ્તાઓને ટ્રાફિક અને દબાણ મુક્ત કરવા માટે 'જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ' (JET) બનાવવામાં આવી છે. આ કામગીરીને વધુ વેગ આપવા માટે એસ્ટેટ અને પોલીસ વિભાગ સાથે મળીને કામ કરશે. આ માટે પ્રત્યેક ઝોન દીઠ 8 કલાકના રૂ. 4600 લેખે મેનપાવર સાથેની હાઇડ્રોલિક ક્રેન ભાડે રાખવાનો નિર્ણય લેવાયો છે. આગામી 6 મહિના માટે અંદાજિત રૂ. 1.25 કરોડના ખર્ચે આ ક્રેન ભાડે રાખવામાં આવશે, જેથી ગેરકાયદેસર પાર્કિંગ અને દબાણો સામે કડક કાર્યવાહી કરી શકાય.