દાહોદ મનરેગા કૌભાંડ: ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત, મંત્રીપુત્રની એજન્સીને રૂ. 250 કરોડ ચૂકવાયા
Dahod MNREGA Scam: ગરીબો-સ્થાનિક ગરીબોને રોજગારી મળી રહે તેવા ઉમદા હેતુ સાથેની યોજના પણ હવે ભ્રષ્ટાચારી નેતાઓ માટે કમાણીની યોજના બની રહી છે. સત્તાના જોરે મંત્રીપુત્ર, પરિવારજનો અને ભ્રષ્ટ અધિકારીએ મિલીભગતથી દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડ આચર્યું છે. જેમાં મંત્રીપુત્રની એજન્સીને 100 કરોડ રૂપિયા નહીં, પરંતુ 250 કરોડ રૂપિયા ચૂકવાયાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. નવાઈની વાત તો એછે કે, સ્થળ પર કામો થયા નથી. તેમ છતાંય લાખો કરોડોના બિલો ચૂકવી દેવામાં આવ્યાં છે. આ સમગ્ર કૌભાંડની તપાસ માટે રાજ્ય સરકાર તપાસ કમિટીની રચના કરે તેવી માંગ ઊઠી છે.
5 વર્ષથી મંત્રીપુત્રની એજન્સીને જ કોન્ટ્રાક્ટ અપાયો
દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના હેઠળ તળાવ ઊંડા કરાયાં છે. આજ વિસ્તારમાં ગટર ઉપરાંત આરસીસીના માર્ગો, ચેકડેમ પણ બનાવાયા છે. નાણાંપચ અને એટીવીટી હેઠળ વિવિધ વિકાસના કામો કરવામાં આવ્યા છે. આ બધાય કામોનો રાજ કન્ટ્રકશનને આપવામાં આવ્યો છે. આ માનીતી એજન્સીના માલિક એક મંત્રીના પુત્ર છે. વર્ષ 2020થી માંડીને વર્ષ 2024-25 સુધીમાં રાજ કન્સ્ટ્રકશનના માલિક બળવંત ખાબડના ખાતામાં 211 કરોડ રૂપિયા ચૂકવાયાં છે. જ્યારે હજુ 20 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. આ ઉપરાંત રાજ ટ્રેડર્સના ખાતામાં 42 કરોડ રૂપિયાનું પણ ચૂકવ્યાં છે.
આ પણ વાંચો: વિદ્યાર્થીઓ માટે અમેરિકા જવું અઘરું, ધડાધડ વિઝા અરજી થઈ રહી છે રદ, જાણો શું છે કારણ
આ સમગ્ર કૌભાંડ મામલે મુખ્યમંત્રીને પત્ર લખી વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ તપાસ કમિટી રચવા માંગ કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, 'ગરીબ-શ્રમિકોને રોજગારી મળે, ગામડામાંથી સ્થળાંતર અટકે તે મનરેગા યોજના ભાજપના રાજ્યમાં કમાણીની યોજના બની રહી છે. સત્તાના જોરે ભ્રષ્ટ અધિકારીઓની મેળાપીપણાંથી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. સ્થળ પર કામો થયાં નથી તેમ છતાંય લાખો રૂપિયા કેવી રીતે ચૂકવી દેવાયા એ સવાલ છે. મહત્ત્વની વાત તો એછે કે, મંત્રીના પરિવારજનોએ ભ્રષ્ટાચાર આચર્યો છે, તેના પુરાવા સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થઈ છે. ત્યારે સરકાર કેમ તપાસ કરાવતી નથી એ શંકાને પ્રેરે છે.